1 ભાઈઓ પરનો પ્રેમ ચાલુ રાખો.
2 પરોણાગત કરવાનું ભૂલો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં દૂતોને પરોણા રાખ્યા છે.
3 બંદીવાનોની સાથે જણે તમે પણ બંદીવાન હો, તેમ સમજીને તેઓને સંભારો. અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને સંભારો.
4 સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
5 તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે. “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”
6 તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીશ નહિ: માણસ મને શું કરનાર છે?”
7 જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો, અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો.
8 ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે.
9 તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઓ નહિ, કેમ કે પ્રભુની કૃપાથી અંત:કરણ દઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવાથી નહિ, તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નહિ.
10 આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનો અધિકાર નથી.
11 કેમ કે પાપાર્થાર્પણ તરીકે જે પશુઓનું રક્ત પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બાળવામાં આવે છે.
12 માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહ્યું.
13 માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ.
14 કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ.
15 માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.
16 વળી ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવા યજ્ઞથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.
17 તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થાય.
18 તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંત:કરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે. અને અમે સર્વ બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.
19 એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું, એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું.
20 હવે શાંતિના ઈશ્વર, જેમણે ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મૂએલાંમાંથી પાછા ઉઠાડયા,
21 તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે સર્વ કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.
22 ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે આ મારા બોધનાં વચન ધ્યાનમાં રાખો, કેમ કે મેં તમારા ઉપર ટૂંકમાં જ લખ્યું છે.
23 આપણો ભાઈ તિમોથી છૂટો થયેલો છે એ તમે જાણજો. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.
24 તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો. ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ કહે છે.
25 તમ સર્વના ઉપર કૃપા હો. આમીન.