1 યહોવા કહે છે, “ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો; કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે.
2 જે માણસ એ પ્રમાણે વર્તે છે, ને જે પુરુષ એને વળગી રહે છે, અને સાબ્બાથને અપવિત્ર ન કરતાં જે એને પાળે છે, ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે, તેને ધન્ય છે.”
3 વળી જે પરદેશી યહોવાના સંબંધમાં આવેલો છે, તેણે એવું જ કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચીત જુદો પાડશે, વળી ખોજાએ ન કહેવું કે, જુઓ હું તો માત્ર સુકાયેલું ઝાડ છું.
4 કેમ કે જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે, ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે, ને મારા કરારને વળગી રહે છે, તેઓ વિષે યહોવા કહે છે કે,
5 તેમને તો હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તથા નામ આપીશ. એમને નષ્ટ નહિ થાય એવું અમર નામ હું આપીશ.
6 વળી જે પરદેશીઓ યહોવાની સેવા કરવા માટે, તથા યહોવાના નામ પર પ્રેમ રાખવા માટે, એના સેવક થવા માટે, તેમના સંબંધમાં આવે છે એટલે જે સર્વ મારા સાબ્બાથને અપવિત્ર ન કરતાં એને પાળે છે, ને મારા કરારને વળગી રહે છે;
7 તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુમ મંદિર કહેવાશે.
8 પ્રભુ યહોવા જે ઇઝરાયલના વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે, “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.
9 ખેતરનાં સર્વ શ્વાપદ, વનમાંનાં સર્વ પશુ, તમે ફાડી ખાવાને આવો.
10 તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.
11 વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.
12 તેઓ કહે છે કે, “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”