1 તેઓએ રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા, અને સર્વ સારાં કામ કરવામાં તત્પર રહેવું, એવું તેઓના સ્મરણમાં લાવ.
2 કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું.
3 કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્ન ભિન્ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા.
4 પણ ઈશ્વર આપણા તારનારની દયા તથા માણસો પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,
5 ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણને તાર્યા.
6 તે પવિત્ર આત્મા ને તેમણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્તદ્વારા આપણા ઉપર પુષ્કળ રેડયો છે.
7 જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને આપણી આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.
8 એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે.
9 પણ મૂર્ખતાભરેલા વાદવિવાદો, વંશાવાળીઓ, કજિયા તથા નિયમશાસ્ત્ર વિષેની તકરારોથી અલગ રહે, કેમ કે એવી બાબતો નિરુપયોગી તથા નકામી છે.
10 એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર.
11 એમ જાણવું કે એવો માણસ ધર્મભ્રષ્ટ થયેલો છે, અને પોતે દોષિત છે એમ જાણ્યા છતાં પાપ કરે છે.
12 જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલીશ ત્યારે મારી પાસે નિકોપોલિસ આવવાને યત્ન કરજે; કેમ, કે ત્યાં શિયાળો ગાળવાનું મેં ઠરાવ્યું છે.
13 ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી ગોઠવણ કરીને રવાના કરજે કે તેમને માર્ગમાં કશાની તંગી ન પડે.
14 વળી આપણા લોકો નિરુપયોગી ન થાય, માટે તેઓ જરૂરના ખર્ચને માટે સારા ધંધારોજગાર કરવાનું શીખે.
15 મારી સાથેના સર્વ તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને ક્ષેમકુશળ કહેજે. તમ સર્વ પર કૃપા થાઓ.