1 યહૂદિયાનો રાજા યહોશાફાટ શાંતિથી યરુશાલેમમાં પોતાને ઘેર પાછો આવ્યો.
2 દષ્ટા હનાનીનો પુત્ર યેહૂ યહોશાફાટ રાજાને મળવા આવ્યો, ને તેને કહ્યું, “શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાના વેરીઓ પર પ્રેમ કરવો જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે.
3 તોપણ તારામાં કંઈક સારી વાતો માલૂમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ કાઢી નાખી છે, ને ઈશ્વરને શોધવામાં તારું મન લગાડ્યું છે.”
4 યહોશાફાટ યરુશાલેમમાં રહ્યો:અને ફરીથી બેર-શેબાથી માંડીને એફ્રાઈમના પહાડી પ્રદેશ સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા તરફ તેઓનાં મન ફેરવ્યાં.
5 તેણે દેશમાં, એટલે યહૂદિયાના સર્વ કિલ્લાવાળાં નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા.
6 તેણે તેઓને ફરમાવ્યું, “તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો, કેમ કે તમે માણસ તરફથી નહિ, પણ યહોવા તરફથી ન્યાય કરો છો અને ઇનસાફ કરવામાં તે તમારી સાથે છે.
7 માટે યહોવાનો ડર રાખીને, સંભાળીને કામ કરજો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને આન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી.”
8 વળી યહોશાફાટે યહોવાના નિયમ સંબંધીના મુકદ્દમાં ચૂકવવા તથા તકરારો પતાવવા માટે લેવીઓમાંથી, યાજકોમાંથી તથા ઇઝરાયલના પિતૃઓનાં કુટુંબોનાં વડીલોમાંથી કેટલાકને યરુશાલેમમાં પણ નીમ્યાં. પછી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યાં.
9 રાજાએ તેઓને સમજૂતી આપી, “યહોવાનો ભય રાખીને, વિશ્વાસુપણાથી તથા શુદ્ધ અંત:કરણથી તમે વર્તજો.
10 જ્યારે પોતાનાં નગરોમાં રહેનાર તમારા ભાઈઓના ખૂન, આકસ્મિક મૃત્યું, નિયમ, આજ્ઞા વિધિઓ તથા કાનૂનો સબંધી તકરાર તમારી પાસે આવે, ત્યારે તમારે તેનો એવી રીતે ન્યાય કરવો કે જેથી તે સંબંધી યહોવા નાખુશ ન થાય, નહિ તો તમારા પર તથા તમારા ભાઈઓ પર તે કોપાયમાન થશે. એમ કરશો, તો તમે દોષિત નહિ ઠરશો.
11 જુઓ, મુખ્ય યાજક અમાર્યા યહોવા સંબંધીની સર્વ બાબતોમાં તમારો ઉપરી છે. અને રાજાની સર્વ બાબતોમાં યહૂદાના કુળનો અધિકારી ઈશ્માએલનો પુત્ર ઝબાદ્યા છે; અને લેવીઓ તમારો હુકમ અમલમાં લાવશે. હિમ્મતથી વર્તો, ને યહોવા નેકની સાથે રહો.”