1 ત્યાર પછી હિઝકિયાએ ઇઝરાયલ તથા યહૂદિયાના સર્વ માણસોની પાસે સંદેશિયા મોકલ્યા, ને એફરાઈમ તથા મનાશ્શા ઉપર પણ પત્ર લખ્યા, “તમારે યહોવાના મંદિરમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાનું પાસ્ખાપર્વ પાળવા મટે યરુશાલેમ આવવુ.”
2 રાજાએ, તેના સરદારોએ તથા યરુશાલેમની સમગ્ર પ્રજાએ બીજે માસે પાસ્ખાપર્વ પાળવાનૌ ઠરાવ કર્યો હતો.
3 કેમ કે તે સમયે તેઓ તે પાળી શક્યા નહોતા, કારણ કે જોઈએ તેટલા યાજકોએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, તેમ જ સર્વ લોકો પણ યરુશાલેમમાં એકત્ર થયા નહોતા.
4 એ કામ રાજાની ર્દષ્ટિમાં તથા સમગ્ર પ્રજાની ર્દષ્ટિમાં સારું લાગ્યું.
5 માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું એવી જાહેરાત બેર-શેબાથી તે દાન સુધી આખા ઇઝરાયલમાં કરવાનો ઠરાવ તેઓએ કર્યો. કેમ કે નિયમશાસ્ત્રમાં ફરમાવેલી રીત પ્રમાણે તેઓએ લાંબી મુદતથી તે પાછું વાળ્યુ નહોતું.
6 માટે સંદેશિયાઓ રાજાના તથા તેના સરદારોના પત્રો લઈને આખા ઇઝરાયલ તથા યહૂદિયામાં ફર્યા, ને રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું, “હે ઇઝરાયલી લોકો, તમો ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાની તરફ પાછા ફરો કે, તમારામાંના બાકી રહેલા જેઓ આશૂરના રાજાઓના હાથમાંથૌ બચી ગયા છે, તેઓની પાસે તે પાછા આવે.
7 વળી તમારા પિતૃઓ તથા તમારા ભાઈઓ કે, જેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર, યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ને તેથી, જેમ તમે જુઓ છો તેમ, તેમણે તેઓનો નાશ કર્યો, તેઓના જેવા તમે ન થાઓ.
8 તમારા પિતૃઓની જેમ તમે હઠીલા ન થાઓ; પણ યહોવાને આધીન થાઓ, ને તેમનું પવિત્રસ્થાન જે તેમણે સદાને માટે પવિત્ર કર્યું છે, તેમાં પ્રવેશ કરીને તમારા ઈશ્વર યહોવાની સેવા કરો કે, જેથી તેમનો ઉગ્ર કોપ તમારા પરથી દૂર થાય.
9 કેમ કે જો તમે યહોવાની તરફ પાછા ફરશો, તો તમારા ભાઈઓ તથા તમારાં છોકરાં તેમને પકડી લઈ જનારાંઓની નજરમાં કૃપા પામશે, ને તેઓ આ દેશમાં પાછા આવશે; કેમ કે તમારા ઈશ્વર યહોવા કૃપાળુ તથા દયાળું છે, ને જો તમે તેમની પાસે પાછા આવો, તો તે પોતાનું મુખ તમારી તરફથી અવળું નહિ ફેરવે.”
10 એ પ્રમાણે સંદેશિયા આખા એફ્રાઈમ તથા મનાશ્શા દેશમાં છેક ઝબુલોન સુધી નગરેનગર ફરી વળ્યા. પણ તેઓએ તેઓને તિરસ્કાર સહિત હસી કાઢ્યા.
11 પરંતું આશેરમાંથી, મનાશ્શામાંથી તથા ઝબુલોનમાંથી કેટલાક માણસો નમ્ર થઈને યરુશાલેમ આવ્યા.
12 વળી યહોવાના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની આપેલી આજ્ઞા પ્રમાણે કરવા માટે ઈશ્વરે યહૂદિયાના માણસોને એકદિલ કર્યા હતા.
13 બીજે માસે બેખમીર રોટલીનું પર્વ પાળવા માટે યરુશાલેમમાં ઘણા લોકો એકત્ર થયા.
14 તેઓએ યરુશાલેમમાંની વેદીઓને તોડી પાડી, ને સર્વ ધૂપવેદીઓને કાઢી નાખીને તેઓએ તેમને કિદ્રોન નાળામાં નાખી દીધી.
15 પછી તેઓએ બીજા માસની ચૌદમીએ પાસ્ખા કાપ્યું; અને યાજકો તથા લેવીઓ નીચે મોઢે પોતે પવિત્ર થઈને યહોવાના મંદિરમાં દહનીયાર્પણો લાવ્યા.
16 પછી તેઓ, ઈશ્વરભક્ત મૂસાના નિયમ પ્રમાણે, પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગાએ ઊભા રહ્યાં; યાજકોએ લેવીઓના હાથમાંથી રકત લઈને તે છાંટ્યું.
17 કેમ કે સમુદાયમાં એવા ઘણા હતા કે જેઓ પોતે પવિત્ર થયા નહોતા તે સર્વને યહોવાને માટે પવિત્ર કરવા માટે પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપેલું હતું.
18 કેમ કે એફ્રાઈમ, મનાશ્શા, ઈસ્સાખાર તથા ઝબુલોનમાંથી ઘણા લોકો પવિત્ર થયેલા નહોતા, છતા પણ તેઓએ લેખિત આજ્ઞાથી કંઈક જુદી રીતે પાસ્ખા ખાધું. કેમ કે હિઝકિયાએ તેઓના લાભમાં પ્રાર્થના કરીને માગ્યું હતું કે,
19 “જેઓ ઈશ્વરની, એટલે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની શોધમાં પોતાનું અંત:કરણ લગાડે છે, તેઓ જોકે પવિત્રસ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહિ હોય તોપણ તે સર્વને કૃપાળુ યહોવા ક્ષમા કરો.
20 યહોવાએ હિઝકિયાની આ પ્રાર્થના સાંભળીને લોકોને ક્ષમા આપી,
21 તે વખતે જે ઇઝરાયલપુત્રો યરુશાલેમમાં હાજર થયા હતા તેઓએ મોટી ખુશાલી સહિત સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ પાળ્યું, અને યહોવાની આગળ મોટે અવાજે વાજિંત્રો સાથે ગાયન કરીને લેવીઓએ તથા યાજકોએ દરરોજ યહોવાની સ્તુતિ કરી.
22 વળી જે લેવીઓ યહોવાની સેવામાં વિશેષ પ્રવીણ હતા તેઓને હિઝકિયાએ ઉત્તેજન આપ્યું. માટે તેઓએ શાંત્યાર્પણોનાં બલિદાન આપીને તથા પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની આભારસ્તુતિ કરીને પર્વ પૂરું થતા સુધી, એટલે સાતે દિવસ સુધી, મિજબાની કરી.
23 વળી સમગ્ર પ્રજાએ બીજા સાત દિવસ સુધી પર્વ પાળવાનો ઠરાવ કર્યો. તેઓએ ઘણા આનંદથી બીજા સાત દિવસ સુધી પર્વ પાળ્યું.
24 કેમ કે યહૂદિયાના રાજા હિઝકિયાએ પ્રજાને એક હજાર ગોધા તથા સાત હજાર ઘેટાં અર્પણ માટે આપ્યાં હતાં. વળી સરદારોએ પ્રજાને એક હજાર ગોધા તથા દશ હજાર ઘેટાં આપ્યાં હતાં. અને ઘણા યાજકોએ પોતાને પવિત્ર કર્યા.
25 યહૂદિયાના સર્વ લોકોએ, યાજકોએ, લેવીઓએ, ઇઝરાયલમાંથી આવેલા મુલાકાતીઓએ, તેમ જ ઇઝરાયલ દેશમાંથી યહુદિયામાં આવી વસેલા પરદેશીઓએ આનંદ કર્યો.
26 એ પ્રમાણે યરુશાલેમમાં આનંદ આનંદ થઈ રહ્યો, કેમ કે ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરુશાલેમમાં આવો ઉત્સવ કદી થયો નહોતો.
27 પછી લેવી યાજકોએ ઊઠીને લોકને મોટેથી આશીર્વાદ આપ્યો. અને તેઓની વાણી તથા પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં, એટલે આકાશમાં, સાંભળવામાં આવી.