1 ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા; માટે દઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
2 જુઓ, હું પાઉલ તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.
3 દરેક સુન્નત કરાવનાર માણસને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને બંધાયેલો છે.
4 તમે જેઓ નિયમ શાસ્ત્રના પાલન થી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો. તમે કૃપાથી વિમુખ થયા છો.
5 કેમ કે અમે આત્માદ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.
6 કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત ઉપયોગી નથી, અને બેસુન્નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે.
7 તમે સારી રીતે દોડતા હતા; છતાં સત્યને માનતાં તમને કોણે રોકયા?
8 તમારા બોલાવનારે તમને એ પ્રમાણે સમજાવ્યું નથી.
9 થોડું ખમીર લોટના આખા લોંદાને ખમીરી કરે છે.
10 તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે બીજા મતના નહિ થશો; પણ તમને ગૂંચવણમાં નાખનાર જે કોઈ હશે તે શિક્ષા પામશે.
11 હે ભાઈઓ, જો હું હજી સુધી સુન્નતની હિમાયત કરતો હોઉં, તો હજી સુધી મારી સતાવણી કેમ થાય છે? જો એમ હોય તો વધસ્તંભની ઠોકર લોપ થઈ છે.
12 જેઓ તમને ભમાવે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
13 કેમ કે, ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
14 કેમ કે “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.” આ એક જ વચનમાં આખા નિયમ શાસ્ત્ર નો સમાવેશ થાય છે.
15 પણ જો તમે એકબીજાને કરડો તથા ફાડી ખાઓ, તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો.
16 પણ હું કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.
17 કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ; કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી.
18 પણ જો તમે આત્માથી દોરાતા હો, તો તમે નિયમ શાસ્ત્ર ને આધીન નથી.
19 દેહનાં કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું,
20 મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,
21 અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં કામ; જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતાવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
22 પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
23 નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
24 જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
25 જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ.
26 આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ.