1 યહૂદિયાના રાજા ઉઝિયાના દિકરા યોથામના દીકરા આહાઝના સમયમાં અરામનો રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકા યરુશાલેમની સાથે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તે પર ફતેહ પામી શક્યા નહિ.
2 દાઉદના વંશના રાજકર્તાને ખબર મળી કે, અરામ એફ્રાઈમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન તથા તેના લોકોનાં મન જેમ વનનાં ઝાડ પવનથી કંપે છે તેમ ગભરાયાં.
3 ત્યારે યહોવાએ યશાયાને કહ્યું, “તું તથા તારો દીકરો શાર-યાશૂબ ધોબીના ખેતરની સડકે, ઉપલા કુંડના નાળાના છેડા આગળ આહાઝને મળવા જાઓ.
4 તું તેને કહે, સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાંના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાના દીકરાના ભારે રોષથી તારું મન ભયભીત ન થાય.
5 અરામે, એફ્રાઈમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને ઠરાવ્યું છે કે,
6 ‘આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ, ને આપણે પોતાને માટે તેમાં ભંગાણ પાડીએ, ને ત્યાં ટાબએલના દીકરાને રાજા નીમીએ.’
7 તેટલા માઠે પ્રભુ યહોવા એમ કહે છે, ‘એવું થશે નહિ, અને તે ધારણા પાર પડશે નહિ.’
8 અરામનું શિર દમસ્કસ છે, ને દમસ્કસનું શિર રસીન છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ નાશ પામશે, ને પ્રજાની ગણતરીમાં રહેશે નહિ.
9 વળી એફ્રાઈમનું શિર સમરુન છે, ને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસ રાખશો નહિ તો તમે સ્થિર થશો નહિ.”
10 પછી યહોવાએ આહાઝને ફરીથી સંદેશો મોકલ્યો,
11 “તું તારા પોતાને માટે તારા ઈશ્વર યહોવા પાસેથી ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી, અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.”
12 ત્યારે આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, વળી હું યહોવાની પરીક્ષા કરીશ નહિ.”
13 પછી યશાયાએ કહ્યું, “હે દાઉદના વંશજો, સાંભળજો. માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે, તમે મારા ઈશ્વરને પણ કાયર કરવા માગો છો?
14 તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.
15 તે ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં તથા મધ ખાશે.
16 એ છોકરો ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે પહેલાં જે બે રાજાથી તું ભયભીત થાય છે, તેમનો દેશ ઉજજડ થશે.
17 એફ્રાઈમ યહૂદાથી જુદો પડયો ત્યાર પછી આવ્યા જહોતા એવા દિવસો યહોવા તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે આશૂરના રાજાને લાવશે.
18 વળી તે દિવસે મિસરની નદીઓના છેડાઓ પર જે માખી છે તેને, અને આશૂર દેશમાં જે મધમાખી છે તેમને યહોવા સીટી વગાડી બોલાવશે.
19 તેઓ આવશે, ને કરાડાવાળી ખીણોમાં, ખડકોની ફાટોમાં, સર્વ કાંટાના છોડવાઓમાં, ને સર્વ બીડોમાં તેઓ બધા ભરાઈ રહેશે.
20 તે દિવસે પ્રભુ, નદીને પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રા વડે, એટલે આશૂરના રાજા વડે, માથું ને પગોના વાળ બોડશે; અને તે દાઢી પણ કાઢી નાખશે.
21 તે સમયે માણસ એક વાછરડીને બે ઘેટી પાળશે.
22 અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે. દેશમાં જેઓ બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં તથા મધ ખાશે.
23 વળી તે સમયે એમ થશે, કે જ્યાં હજાર રૂપિયાના હજાર દ્રાક્ષાવેલા રોપેલા હતા, તેવી દરેક જગા કાંટા ને ઝાંખરાંનું સ્થાન થઈ જશે.
24 બાણ તથા ધનુષ્ય લઈને લોકો ત્યાં જશે; કેમ કે આખા દેશમાં કાંટા ને ઝાંખરાં થશે.
25 જે સર્વ ટેકરાઓ કોદાળીથી ખોદવામાં આવતા, ને જ્યાં કાંટા તથા ઝાંખરાંની બીક હતી જ નહિ, તે બળદને ચરવાની જગા તથા ઘેટાંને ફરવાની જગા થઈ પડશે.”