Bible Versions
Bible Books

Amos 9 (IRVGU) Indian Revised Version - Gujarati

1 મેં પ્રભુને વેદી પાસે ઊભેલા જોયા, તેમણે કહ્યું કે,'' બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે ઉંબરા હાલી જાય.
અને તે સર્વ લોકનાં માથા પર પડીને તેઓના ચૂરેચૂરા કરો,
તેઓનાંમાંથી જે બાકી રહ્યા હશે,
તેઓનો હું તરવારથી નાશ કરીશ. તેઓમાંનો એકપણ નાસી જવા પામશે નહિ,
અને કોઈ છટકી જવા પામશે નહિ.
2 જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય,
તોપણ મારો હાથ તેમને પકડી પાડશે.
જો તેઓ આકાશમાં ચઢી જશે,
તોપણ હું તેઓને ત્યાંથી નીચે ઉતારીશ.
3 જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય,
તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ.
જો તેઓ મારાથી સંતાઈને દરિયાને તળિયે સંતાઈ જશે,
તોપણ હું ત્યાં સર્પને આજ્ઞા કરીશ
તેઓને કરડવા માટે આદેશ આપીશ, એટલે તે તેઓને ડંખ મારશે.
4 વળી જો તેઓ પોતાના શત્રુઓના હાથે બંદીખાનામાં જાય,
તોપણ હું ત્યાં તરવારને આજ્ઞા કરીશ કે તે તેમનો સંહાર કરે.
હું તેમના હિતને માટે તો નહિ પણ આપત્તિને સારુ મારી દ્રષ્ટિ રાખીશ.”
5 કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર
કે જે ભૂમિને સ્પર્શ કરે છે અને તે ઓગળી જાય છે.
અને તેમાં વસનારા સર્વ લોક શોક કરશે;
તે તમામ નદીની પેઠે ચઢી આવશે,
અને મિસરની નદીની જેમ પાછા ઊતરી જશે.
6 જે આકાશોમાં પોતાનું ઘર બાંધે છે
અને પૃથ્વી ઉપર પોતાનો મુગટ સ્થાપે છે,
જે સમુદ્રના પાણીને બોલાવીને
તેને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે,
તેમનું નામ યહોવાહ છે.
7 યહોવાહ એવું કહે છે કે,
“હે ઇઝરાયલપુત્રો,
શું તમે મારે મન કૂશના લોકો જેવા નથી?”
“શું હું ઇઝરાયલપુત્રોને મિસરમાંથી,
પલિસ્તીઓને કાફતોરથી,
અને અરામીઓને કીરમાંથી બહાર લાવ્યો નથી?
8 જુઓ, પ્રભુ યહોવાહની દ્રષ્ટિ દુષ્ટ રાજ્ય ઉપર છે,
અને હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ,
તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરીશ”
9 જુઓ, હું આજ્ઞા કરીશ કે,
જેવી રીતે અનાજને ચાળણીમાં ચાળવામાં આવે છે,
તેમ હું ઇઝરાયલના વંશજોને સઘળી પ્રજાઓમાં ચાળીશ,
તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહિ.
10 મારા લોકોમાંના જે પાપીઓ એવું કહે છે કે,
અમને કોઈ આફત આવશે નહી કે અમારી સામે પણ આવશે નહી તેઓ સર્વ તરવારથી નાશ પામશે.”
11 “તે દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ પાછો ઊભો કરીશ,
અને તેમાં પડેલી ફાટો સાંધી દઈશ.
તેના ખંડેરોની મરામત કરીશ,
અને તેને પ્રાચીન કાળના જેવો બાંધીશ,
12 જેથી અદોમના બાકી રહેલા પ્રાંતોનું,
અને બીજા બધા દેશો જે પહેલાં મારા નામથી ઓળખાય છે તેઓનું પણ તેઓ વતન પામે''
કરનાર હું યહોવાહ તે કહું છું.
13 “જુઓ, યહોવાહ એવું કહે છે કે, એવા દિવસો આવી રહ્યા છે,
કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે,
અને દ્રાક્ષા પીલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે,
પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે.
અને સર્વ ડુંગરો પીગળી જશે.
14 હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ.
તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે.
તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે
અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.
15 હું તેઓને તેઓની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ,
તેઓને મેં જે ભૂમિ આપી છે,
તેમાંથી કોઈપણ તેઓને ખસેડી શકશે નહિ.''
એવું ઈશ્વર યહોવાહ કહે છે. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×