Bible Versions
Bible Books

Proverbs 20 (IRVGU) Indian Revised Version - Gujarati

1 દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે અને દારૂ દંગો મચાવે છે;
જે કોઈ પીવાની ભૂલ કરે છે તે જ્ઞાની નથી.
2 રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે;
તેને કોપાવનાર પોતાના જીવની વિરુદ્ધ અપરાધ કરે છે.
3 ઝઘડાથી દૂર રહેવું માણસને માટે શોભાસ્પદ છે,
પણ દરેક મૂર્ખ ઝઘડો કરવા માટે ઊતાવળો હોય છે.
4 આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી,
તેથી કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.
5 અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે;
પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.
6 ઘણા લોકો પોતપોતાનો કરેલો ઉપકાર કહી બતાવશે,
પણ જેના પર વિશ્વાસ રાખી શકાય એવો માણસ ક્યાં મળે?
7 ન્યાયી માણસ પોતાના પ્રામાણિક માર્ગમાં ચાલે છે
અને તેના પછી તેને અનુસરનારા તેનાં બાળકો આશીર્વાદિત છે.
8 ન્યાયાસન પર બિરાજેલો રાજા પોતાનું કામ જાહેર કરે છે
પોતાની આંખથી બધી દુષ્ટતાને વિખેરી નાખે છે.
9 કોણ કહી શકે કે, “મેં મારું અંત:કરણ શુદ્ધ કર્યું છે,
હું પાપથી મુક્ત થયો છું?”
10 જેઓ જુદાં જુદાં વજનિયાં અને માપિયાં રાખે છે-
યહોવાહ તે બન્નેને ધિક્કારે છે.
11 વળી છોકરાં પણ પોતાનાં આચરણથી ઓળખાય છે કે,
તેઓનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?
12 કાન કે જે સાંભળે છે અને આંખ કે જે જોઈ શકે છે
તે બન્નેને યહોવાહે બનાવ્યાં છે.
13 ઊંઘ સાથે પ્રીત કરીશ નહિ, રખેને તું દરિદ્રાવસ્થામાં આવી પડે;
તારી આંખો ઉઘાડ એટલે તું અન્નથી તૃપ્ત થશે.
14 “આ તો નકામું છે! નકામું છે!” એવું ખરીદનાર કહે છે,
પણ તે ત્યાંથી ગયા પછી બડાઈ મારે છે.
15 પુષ્કળ સોનું પુષ્કળ માણેકમોતી
કરતાં જ્ઞાની હોવું વધારે કિંમતી જેવું છે.
16 અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો લઈ લે,
પારકાનો જામીન થનારને જવાબદાર ગણ.
17 અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે
પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જાય છે.
18 દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે
માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું.
19 જે કૂથલી કરવા માટે અહીંતહીં ભટકે છે
તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે માટે એવા માણસના કામમાં હાથ નાખતો નહિ.
20 જો કોઈ વ્યક્તિ પોતાનાં માતા કે પિતાને શાપ આપે છે,
તો તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.
21 જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે
તેનો અંત આશીર્વાદિત થશે નહિ.
22 “હું દુષ્ટતાનો બદલો લઈશ!” એવું તારે કહેવું જોઈએ;
યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.
23 જુદાં જુદાં વજનિયાંને યહોવાહ ધિક્કારે છે
અને ખોટું ત્રાજવું રાખવું સારું નથી.
24 યહોવાહ માણસના પગલાંને દોરે છે,
તો પછી માણસ કેવી રીતે પોતાનો માર્ગ સમજી શકે?
25 વગર વિચારે એમ કહી દેવું કે, “આ વસ્તુઓ પવિત્ર છે,”
અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી માણસને ફાંદારૂપ છે.
26 જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે
અને તેઓને કચડી નાખે છે.
27 માણસનો આત્મા યહોવાહનો દીવો છે,
તે હૃદયના અંતરના ભાગોને તપાસે છે.
28 કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે,
તેનું રાજ્યાસન વફાદારી પર ટકેલું છે.
29 યુવાનોનું ગૌરવ તેઓનું બળ છે
અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પાળિયાં છે.
30 ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે
અને ફટકા હૃદયના અંતરના ઊંડાણ સુધી પહોંચે છે. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×