Bible Versions
Bible Books

Isaiah 30 (IRVGU) Indian Revised Version - Gujarati

1 યહોવાહ કહે છે, “બળવાખોર સંતાનોને અફસોસ!”
“તેઓ યોજનાઓ કરે છે, પણ મારી નહિ; તેઓ અન્ય દેશો સાથે સંધિઓ કરે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ,
તેથી તેઓ પાપ ઉપર પાપ ઉમેરે છે.
2 તેઓ મને પૂછયા વિના મિસરમાં ચાલ્યા જાય છે.
તેઓ ફારુનથી રક્ષણ મેળવવા અને મિસરની છાયામાં શરણ શોધે છે.
3 તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ
અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે.
4 જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે.
5 તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી,
પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે.” PEPS
6 નેગેવનાં પશુઓ વિષે ઈશ્વરવાણી:
દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ,
જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ,
તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.
7 પણ મિસરની સહાય વ્યર્થ છે;
તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે.
8 પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ,
જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.
9 કેમ કે લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે,
તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે.
10 તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;”
અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ;
પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો;
11 માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ;
અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો.”
12 તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે,
“કેમ કે તમે વાતને નકારો છો
અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો,
13 માટે તમારાં પાપ
ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે,
તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.
14 કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે;
અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે,
એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ.
15 પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે,
“પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે.
પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.
16 ઊલટું તમે કહ્યું, 'ના,
અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,' તે માટે તમે નાસશો જ;
અને તમે કહ્યું, 'અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,' તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે.
17 એકની ધમકીથી એક હજાર નાસી જશે;
પાંચની ધમકીથી તમે બધા નાસી જશો
અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા અને ડુંગર પર નિશાનના જેવા થોડા રહી જશો.”
18 તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે.
કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે.
19 હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ.
તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે કરશે. તે સાંભળતાં તને ઉત્તર આપશે.
20 જોકે યહોવાહ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપે છે,
તોપણ તમારા શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તમારી આંખો તમારા શિક્ષકને જોશે.
21 જ્યારે તમે જમણી કે ડાબી બાજુ ફરશો ત્યારે તમારા કાન તમારી પાછળથી આવતા આવા અવાજને સાંભળશે કે,
“આ માર્ગ છે, તે પર તમે ચાલો.”
22 વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો.
તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”
23 જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે
તથા તે ભૂમિમાં પુષ્કળ અનાજ અને રોટલી ઉત્પન્ન કરશે,
તે દિવસે તારાં જાનવરો મોટાં બીડમાં ચરશે.
24 ભૂમિ ખેડનાર બળદો અને ગધેડાં મોસમ પ્રમાણેનો,
સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો ખાશે.
25 વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે
સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાં અને ઝરણાં વહેશે.
26 ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે.
યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે.
27 જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે.
તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.
28 તેઓનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી જેવો છે,
જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના મુખમાં ભ્રાંતિકારક લગામ નાખવામાં આવશે.
29 પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો
અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.
30 યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને
ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.
31 કેમ કે યહોવાહની વાણીથી આશૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.
32 યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો
ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.
33 કેમ કે પૂર્વકાળથી સળગનાર સ્થાન તૈયાર કરી રાખેલું છે. હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; અને ઈશ્વરે તેને ઊંડું તથા પહોળું કર્યું છે.
એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડા છે.
યહોવાહનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×