1 અમે, ઈશ્વરની સાથે કામ કરનારા હોઈને, તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે, તમે ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ન કરો,
2 કેમ કે તે કહે છે, “મેં માન્યકાળે તારું સાંભળ્યું, અને તારણને દિવસે મેં તને સહાય કરી: જુઓ, હમણાં જ માન્યકાળ છે. જુઓ, હમણાં જ તારણનો દિવસ છે.”
3 અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી.
4 પણ સર્વ વાતે અમે ઈશ્વરના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ, બહુ જ ધીરજ રાખીને, વિપત્તિઓ વેઠીને, તંગીઓ સહીને, સંકટો ઉઠાવીને, ઉજગરા કરીને, લાંઘણ વઠીને;
5 ફટકા ખાઈને, કેદ ભોગવીને, હંગામા સહીને, કષ્ટ વેઠીને;
6 શુદ્ધતા વડે, જ્ઞાન વડે, સહનશીલતા વડે, પરોપકાર વડે, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી,
7 સત્યના વચનથી, ઈશ્વરના પરાક્રમથી; જમણે હાથે તથા ડાબે હાથે ન્યાયનાં હથિયારો વડે,
8 માન તથા અપમાન વડે, અપકીર્તિ તથા સુકીર્તિ વડે; ઠગ ગણાતા છતાં ખરા રહીને;
9 અજાણ્યા જેવા છતાં બહુ જાણીતા હોઈને; જાણે મરતા હોઈએ એવા છતાં. જુઓ, અમે તો જીવતા છીએ. શિક્ષા પામેલાંઓના જેવા છતાં મારી નંખાયેલા નથી.
10 શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા છીએ. દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા છીએ. નાદાર જેવા છતાં સર્વસંપન્ન છીએ.
11 ઓ કરિંથીઓ, તમારા પ્રત્યે અમારું મોં છૂટું થયું છે, અમારું હ્રદય તમારે માટે પ્રફુલ્લિત થયેલું છે.
12 તમે અમારા હ્રદય માં સંકુચિત થયા નથી, પણ તમારા પોતાના અંત:કરણમાં સંકુચિત થયા છો.
13 તો એને બદલે ( મારાં બાળકો સમજીને હું તમને કહું છું કે) તમે પણ પ્રફુલ્લિત હ્રદયવાળા થાઓ.
14 અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો:કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય?
15 ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?
16 ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.
17 માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,
18 અને તમારો પિતા થઈશ, અને તમો મારાં દીકરાદીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”