1 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકામાંની મંડળી પ્રતિ લખનાર પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી:
2 ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
3 ભાઈઓ, અમારે તમારા વિષે હમેશાં ઈશ્વરની આભારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.
4 માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે સહન કરો છો, તેમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીઓમાં તમારાં વખાણ કરીએ છીએ.
5 એ તો ઈશ્વરના ન્યાયી ઇનસાફનું પ્રમાણ છે, જેથી ઈશ્વરના જે રાજયને માટે તમે દુ:ખ સહન કરો છો, તે રાજયમાં દાખલ થવા ને યોગ્ય તમે ગણાઓ.
6 કેમ કે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુ:ખ આપે છે તેઓને ઈશ્વર દુ:ખનો બદલો આપે,
7 અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જવાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુ:ખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે.
8 તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.
9 તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેમના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે.
10 જ્યારે પોતાના સંતોમાં મહિમા મેળવવાને, અને જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્ય ઉત્પન્ન કરવાને તે આવશે તે દિવસે એમ થશે (કેમ કે તમે અમારી સાક્ષી પર વિશ્વાસ રાખ્યો).
11 એથી અમે હમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, આપણા ઈશ્વર જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે, ને પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઇચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે,
12 જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય, અને તમે તેમનામાં મહિમાવાન થાઓ.