1 હું મારી ચોકી પર ઊભો રહીશ, ને બુરજ પર ખડો રહીને જોયા કરીશ કે તે મારી સાથે શું બોલે છે, ને મારી ફરિયાદનો મને શો ઉત્તર આપે છે.
2 પછી યહોવાએ મને ઉત્તર આપ્યો, “સંદર્શન લખ, ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે.
3 કેમ કે એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે સંદર્શન પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ. જો કે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જોજે; કેમ કે તે નક્કી થશે જ, તેને વિલંબલ થશે નહિ.
4 જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે, તેની અંદર સરળતા નથી; પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે.
5 વળી દ્રાક્ષારસ તો તેને દગો દેનાર છે, તે અભિમાની છે, તથા ઘેર ન રહેતાં બહાર ભટકે છે. તે પોતાની લાલસાને વધારીને શેઓલ જેવી કરે છે, ને તે મૃત્યુની જેમ તૃપ્ત થઈ શકતો નથી પણ એક પછી એક બધી પ્રજાઓને ગળી ઝાય છે.
6 શું એ સર્વ તેની વિરુદ્ધ દ્દષ્ટાંત આપીને તથ મહેણાં મારીને આ પ્રમાણે કહેશે નહિ કે, ‘જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ!’ ક્યાં સુધી? તે તો કડપોથી પોતાને લાદે છે!
7 શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તને કરડી ખાશે, ને શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે, ને તું તેઓની લૂંટ થઈ પડશે?
8 તેં ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તે માટે તે પ્રજાઓના બાકી રહેલા સર્વ તને લૂંટશે. માણસોના રક્તપાતને લીધે, અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ ઉપર ગુજારેલા ગજબને લીધે એ પ્રમાણે થશે.
9 હાનિના પંજામાંથી ઊગરવાને માટે, પોતાનો માળો ઊંચો બાંધવાને માટે, પોતાના કુટુંબને માટે જે અન્યાયથી દ્રવ્ય મેળવે છે તેને અફસોસ!
10 ઘણા લોકોનો સંહાર કરવાથી તેં તારા કુટુંબને લાજ લગાડી છે, ને તારા પોતાના આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે.
11 કેમ કે ભીંતમાંથી પથ્થર બૂમ પાડશે, ને કાટમાંથી ભારોટિયો તેને સામો જવાબ આપશે.
12 જે જન રક્તપાત કરીને નગર બાંધે છે, નહે અન્યાયથી નગર વસાવે છે તેને અફસોસ!
13 જુઓ લોકો અગ્નિને માટે શ્રમ કરે છે, ને લોકો નજીવી બાબતોને માટે તૂટી મરે છે, તે શું સૈન્યોના યહોવા ની આજ્ઞા થી નથી થતું?
14 કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે.
15 તું પોતાના પડોશીને મદ્ય પાય છે અને તેની નગ્નતા જોવા માટે ઝેર ઉમેરીને તેને છાકટો પણ બનાવે છે તે તને અફસોસ!
16 તું કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે. વળી તું પીને બેસુન્નતના જેવો થા. યહોવાના જમણા હાથનો પ્યાલો તારી તરફ વળશે, ને તારી કીર્તિને ભારે કલંક લાગશે.
17 કેમ કે લબાનોન પર ગુજારેલો ગજબ તને ઢાંકી દેશે, ને પશુઓનો નાશ તને ભયભીત કરશે. માણસોના રક્તપાપને લીધે અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ પર ગુજારેલા ગજબને લીધે એ પ્રમાણે થશે.
18 મૂર્તિકારે મૂર્તિ ઘડી છે, તે ઘડેલી મૂર્તિથી તેને શો લાભ થાય છે? ઢાળેલી મૂર્તિ જે જૂઠાણાનો ફેલાવનાર છે તેથી શો લાભ થાય છે કે તેનો બનાવનાર પોતાના કામ પર ભરોસો રાખીને મૂંગા પૂતળાં બનાવે છે?
19 જે જન લાકડાને કહે છે, ‘જાગ’; તથા મૂંગા પથ્થરને કહે છે ‘ઊઠ’ તેને અફસોસ! એ શું શીખવી શકે? જુઓ તે તો સોનારૂપાથી મઢેલું છે, ને તેની અંદર શ્વાસ બિલકુલ નથી.
20 પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો.”