1 હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વરસે, જ્યારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ હતો, તથા હેરોદ ગાલીલનો રાજા હતો, તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજા હતો, તથા લુસાનિયસ આબીલેનેનો રાજા હતો,
2 અને આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા, તે વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાસે રાનમાં ઈશ્વરનું વચન આવ્યું.
3 તે યર્દનની આસપાસના આખા પ્રદેશમાં પાપની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો.
4 યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખેલું છે, રાનમાં ઘાંટો પાડનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા પાધરા કરો.
5 દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે. વાંકું સીધું કરવામાં આવશે, ખાડાટેકરાવાળા માર્ગ સપાટ થશે. q1
6 અને સર્વ દેહધારી ઈશ્વરનું તારણ જોશે.”
7 ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવ્યા. તેઓને તેણે કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા?
8 તો પસ્તાવો કરનારને શોભે એવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડશો કે ઇબ્રાહિમ અમારા પિતા છે; કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને માટે વંશ ઉત્પન્ન કરી શકે છે.
9 વળી હમણાં વૃક્ષોનાં મૂળ પર કુહાડો મૂકેલો છે! માટે જે કોઈ વૃક્ષ સારાં ફળ આપતું નથી તે કપાય છે, અને અગ્નિમાં નંખાય છે.”
10 લોકોએ તેને પૂછ્યું, “તો અમારે શું કરવું?”
11 તેણે તેઓને કહ્યું, “જેની પાસે બે પહેરણ હોય તે જેની પાસે એકે નથી તેને એક આપે, જેની પાસે ખાવાનું હોય, તે પણ એમ જ કરે.
12 દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા માટે આવ્યા, ને તેને પૂછ્યું કે, “ઉપદેશક, અમારે શું કરવું?”
13 તેણે તેઓને કહ્યું, “તમારે માટે જે નીમેલું છે, તે કરતાં બળજબરીથી વધારે ન લો.”
14 સિપાઈઓએ પણ તેને પૂછ્યું, “અમારે શું કરવું?” તેણે તેઓને કહ્યું, “કોઈના પર જબરદસ્તી ન કરો, તેમ જ કોઈના પર ખોટું તહોમત ન મૂકો; અને તમારા પગારથી સંતોષી રહો.”
15 લોકો મસીહની રાહ જોતા હતા, અને સર્વ યોહાન સંબંધી વિચાર કરતા હતા કે, “એ ખ્રિસ્ત હશે કે કેમ?”
16 ત્યારે યોહાને સર્વને કહ્યું, “હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ મારા કરતાં જે બળવાન છે તે આવનાર છે, તેના ચંપલની વાધરી છોડવા પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
17 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તેથી તે પોતાની ખળીને સાફ કરી નાખશે અને ઘઉં પોતાની વખારમાં તે ભરી રાખશે. પણ ભૂસું તે ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
18 તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોની આગળ સુવાર્તા પ્રગટ કરી.
19 પણ હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાને લીધે, તથા જે ભૂંડાં કામ તેણે કર્યાં હતાં તે બધાંને લીધે યોહાને ઠપકો આપ્યો હતો.
20 તેથી તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો.
21 હવે સર્વ લોકો બાપ્તિસ્મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં આકાશ ઊઘડી ગયું,
22 અને પવિત્ર આત્મા કબૂતરૂપે તેમના પર ઊતર્યો; અને આકાશમાંથી એવી વાણી થઈ, તું મારો વહાલો દીકરો છે; તારા પર હું પ્રસન્ન છું.”
23 ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષના હતા, અને (લોકોની માન્યતા પ્રમાણે) તે યૂસફનો દીકરો હતો, જે એલીનો દીકરો,
24 જે મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નાયનો, જે યૂસફનો,
25 જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો,
26 જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો,
27 જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શલ્તીએલનો, જે નેરીનો,
28 જે મલ્ખીનો, જે અદ્દિનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો,
29 જે યેશુનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો,
30 જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલ્યાકિમનો,
31 જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો,
32 જે યશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો,
33 જે અમિનાદાબનો, જે અનીનો, જે હેસ્ત્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,
34 જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો,
35 જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો,
36 જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,
37 જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,
38 જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.