1 યહોવાનું એવું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું,
2 “ઊઠ મોટા નગર નિનવે જા, ને એની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે.”
3 પણ યૂના યહોવાની હજૂરમાંથી તાર્શિશ નાસી જવાને ઊઠ્યો. તે યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું, ને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા માટે તેમાં ચઢી બેઠો.
4 પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું, ને સમુદ્રમાં મોટું તોફાન થયું, ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું.
5 ત્યારે ખલાસીઓ બીધા, ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને તેઓએ વહાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો, પણ યૂના વહાણના સૌથી અંદરના ભાગમાં ઊતરી જઈને સૂઈ ગયો હતો, ને ભરનિદ્રામાં પડ્યો હતો.
6 મારે વહાણના કપ્તાને તેની પાસે આવીને તેને કહ્યું, “હે ઊંઘણશી, તું શું ઊંઘ્યા કરે છે? ઊઠ, તારા દેવને વિનંતી કર, એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિષે વિચાર કરે, ને આપણો નાશ ન થાય.”
7 વળી તે સર્વે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે કોને કારણે આપણા પર આ વિઘ્ન આવ્યું છે.” તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી, ને ચિઠ્ઠી યૂનાના નામની નીકળી.
8 ત્યારે તેઓએ તેને પૂછ્યું, “કૃપા કરીને અમને કહે કે તું કોણ છે કે, જેને કારણે આ વિઘ્ન આપણા પર આવ્યું છે? તારો ધંધો શો છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તું કંઈ પ્રજામાંનો છે?”
9 તેણે તેઓને કહ્યું, “હું હિબ્રૂ છું; અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કર્તા સૈન્યોના ઈશ્વર યહોવાનો ભક્ત છું.”
10 ત્યારે તે માણસો અતિશય ગભરાયા, ને તેઓએ તેને કહ્યું, “તેં આ શું કર્યું?” કેમ કે તેના કહ્યાથી તે માણસોએ જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી નાસી જાય છે.
11 પછી તેઓએ તેને પૂછ્યું, “અમે તને શું કરીએ કે સમુદ્ર અમારે માટે શાંત થાય?” કેમ કે સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો જતો હતો.
12 તેણે તેઓને કહ્યું, “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો; એટલે સમુદ્ર તમારે માટે શાંત થશે; કેમ કે હું જાણું છું કે મારે કારણે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે.”
13 પરંતું કિનારે પહોંચી જવાને માટે તે માણસોએ બહું જ હલેસાં માર્યા. પણ તેઓ પહોંચી શક્યા નહિ, કેમ કે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો ગયો.
14 એથી તેઓએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા અમારા પર એવી કૃપા કરો કે, આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય, ને અમારે શિર નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂક્શો નહિ; કેમ કે, હે યહોવા જેમ તમને સારું લાગ્યું તેમ તમે કર્યું છે.”
15 એમ કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે સમુદ્ર ઊછળતો બંધ પડ્યો.
16 ત્યારે તે માણસોને યહોવાનો અતિશય ડર લાગ્યો. તેઓએ યહોવાને બલિદાન આપ્યું, ને માનતાઓ લીધી.
17 યહોવાએ એક મોટી માછલી યૂનાને ગળી જવા માટે નિર્માણ કરી હતી. અને યૂના ત્રણ દિવસ ને ત્રણ રાત તે માછલીના પેટમાં રહ્યો.