1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,
2 “આજ પણ મારી ફરિયાદ કષ્ટમય છે; મારા કણવા કરતાં મારો ઘા ભારે છે.
3 મને તે ક્યાં જડે એ હું જાણતો હોત તો કેવું સારું, કેમ કે ત્યારે તો હું છેક તેમને આસને જઈ પહોંચત!
4 હું મારો દાવો તેમની આગળ અનુક્રમે રજૂ કરત, અને દલીલોથી મારું મોં ભરત.
5 તેમના ઉત્તરમાં જે શબ્દો તે મને કહેત તે હું જાણી લેત, અને તે મને જે કહેત તે હું સમજત.
6 શું તે પોતાની સત્તાના મહત્વમાં મારી સાથે વિવાદ કરત? નહિ; પણ તે મારું કહેવું તેમના લક્ષમાં લેત.
7 ત્યાં પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે. તેથી હું હમેશને માટે મારા ન્યાયાધીશથી છૂટી જાત.
8 હું આગળ જાઉં છું, પણ તે ત્યાં નથી; અને પાછળ જાઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.
9 ડાબે હાથે તે કામ કરે છે, ત્યારે હું તેમને નિહાળી શકતો નથી; જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે, હું તેમને જોઈ શકતો નથી.
10 પરંતુ મારી ચાલચલગત તે જાણે છે; મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ.
11 મારો પગ તેમનાં પગલાંને વળગી રહ્યો છે; મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે, અને આડોઅવળો ગયો નથી.
12 તેમના હોઠોની આજ્ઞાથી હું પાછો હઠયો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.
13 પણ તે એક એવા છે કે તેમને કોણ ફરવી શકે? તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે.
14 કેમ કે મારે માટે જે નિર્માણ કરેલું છે તે જ તે અમલમાં લાવે છે; અને એવાં એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.
15 માટે તેમની આગળ હું ગભરાઈ જાઉં છું; જ્યારે હું તેમના વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.
16 કેમ કે ઈશ્ચરે મારું હ્રદય નિર્ગત કર્યું છે, અને સર્વશક્તિમાને મને ગભરાવ્યો છે;
17 કેમ કે અંધકાર મારા પર આવ્યા ને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.