Bible Versions
Bible Books

Matthew 15 (GUV) Gujarati Old BSI Version

1 તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્‍ત્રીઓ ઈસુની પાસે આવ્યા ને કહ્યું,
2 “તમારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.”
3 પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?
4 કેમ કે ઈશ્વરે ક્હ્યું છે, તું તારા પિતાનું તથા તારાં માનું સન્માન કર, ને જે કોઈ પિતાની અથવા માની નિંદા કરે તે જાનથી માર્યો જાય.’
5 પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માને કહેશે કે જે વડે મારાથી તને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે;
6 તો તે ભલે પોતાના પિતાનું કે પોતાનાં માનું સન્માન કરે, એમ તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞા રદ કરી છે.
7 ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક કહ્યું છે,
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં રહે છે.
9 અને તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
10 પછી તેમણે લોકોને પાસે બોલાવીને કહ્યું, “સાંભળો તથા સમજો.
11 મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે માણસને વટાળે છે.”
12 ત્યારે તેમના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું “આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી, શું તમે જાણો છો?”
13 પણ તેમણે ઉત્તર આપ્યો, “જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.
14 તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે; અને જો આંધળો આંધળાને દોરે તો બન્‍ને ખાડામાં પડશે.”
15 ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો, “આ દ્દ્દષ્ટાંતનો અર્થ અમને કહો.”
16 અને તેમણે કહ્યું, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો?
17 શું તમે હજી નથી સમજતા કે જે કંઈ મોંમાં પેસે છે, તે પેટમાં જાય છે, ને સંડાસમાં નીકળી જાય છે?
18 પણ જે મોંમાંથી નીકળે છે, તે હૃદયમાંથી આવે છે, ને તે માણસને વટાળે છે.
19 કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.
20 માણસને જે વટાળે છે તે છે. પણ અણધોયેલે હાથે ખાવું માણસને વટાળતું નથી.”
21 પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમમાં ગયા.
22 અને એક કનાની સ્‍ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેમને કહ્યું, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો, મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.”
23 પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, “આ સ્‍ત્રીને વિદાય કરો. કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે.”
24 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકલવામાં આવ્યો નથી.”
25 એટલે સ્‍ત્રીએ આવીને તેમને પગે લાગીને કહ્યું, “ઓ પ્રભુ, મને મદદ કરો.”
26 પણ તેમણે ઉત્તર વાળ્યો, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી વાજબી નથી.”
27 પણ સ્રીએ કહ્યું, “ખરું, પ્રભુ, કેમ કે કૂતરાં તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.”
28 ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ, અને તે ઘડીએ તેની દીકરી સાજી થઈ.
29 ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને તે ત્યાં બેઠા.
30 અને લૂલાંઓને, આંધળાઓને, મૂંગાઓને, અપંગોને, તથા બીજાં ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેમની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને ઈસુએ તેઓને સાજાં કર્યાં.
31 જ્યારે લોકોએ જોયું કે મૂંગાંઓ બોલતા થયાં છે, અપંગો સાજાં થયાં છે, લૂલાંઓ ચાલતાં થયાં છે અને આંધળાઓ દેખતાં થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, ને ઇઝરાયલના ઈશ્ચરની તેઓએ સ્તુતિ કરી.
32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે, કેમ કે આજે ત્રણ દિવસ થયા તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી, ને તેઓને ભૂખ્યાં વિદાય કરવાને હું નથી ચાહતો, રખેને વાટમાં તેઓ થાકી જાય.”
33 શિષ્યો તેમને કહે છે, “આટલા બધા લોકો તૃપ્ત થાય તેટલી રોટલી અમે રાનમાં ક્યાંથી લાવીએ?”
34 ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું, સાત, ને થોડીએક નાની માછલી છે.”
35 ત્યારે તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.
36 અને તે સાત રોટલી તથા માછલી લઈ તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પોતાના શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને આપી.
37 અને બધાં ખાઈને તૃપ્ત થયાં. પછી છાંડેલા કકડાઓની તેઓએ સાત ટોપલી ભરી.
38 અને જેઓએ ખાધું તેઓ સ્‍ત્રીછોકરાં ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.
39 અને લોકોને વિદાય કર્યા પછી હોડીમાં બેસીને તે મગદાનની સીમમાં આવ્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×