Bible Versions
Bible Books

2 Kings 19 (GUV) Gujarati Old BSI Version

1 હિઝકિયા રાજાએ સાંભળ્યું ત્યારે એમ થયું કે, તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં, ને પોતાના અંગ પર ટાટ પહેરીને તે યહોવાના મંદિરમાં ગયો.
2 અને એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તેને, તથા શેબ્ના ચિટનીસને, તથા યાજકોના વડીલોને તેણે ટાટ ઓઢાડીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
3 તેઓએ યશાયાને કહ્યું, “હિઝકિયા આમ કહે છે કે, દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો વખત આવ્યો છે, ને જણવાની શક્તિ નથી.
4 કદાચ એમ બને કે રાબશાકેહ જેને એના ધણી આશૂરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેના સર્વ વચન તમારા ઈશ્વર યહોવા સાંભળે, ને તમારા ઈશ્વર યહોવાએ જે વચન સાંભળ્યાં છે તેમને તે વખોડે; માટે બચી રહેલાઓને માટે તમે તમારી પ્રાર્થના કરો.”
5 માટે હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા.
6 યાશયાએ તેમને કહ્યું, “તમારા ધણીને તમે એવું કહેજો કે, યહોવા આમ કહે છે કે, ‘જે વચનો તેં સાંભળ્યાં છે. ને વડે આશૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે તેથી તારે બીવું નહિ.
7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે એક અફ્વા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. અને હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નંખાવીશ.’”
8 એમ રાબશાકેહ પાછો ગયો, તો તેને માલૂમ પડ્યું કે આશૂરનો રાજા લિબ્નાહ વિરુદ્ધ યુદ્ધ કરવામાં ગૂંથાયેલો છે; કેમ કે તેણે સાંભળ્યું હતુ કે તે લાખીશથી ગયો છે.
9 અને તેણે કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું, “જુઓ તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરીથી હિઝકિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું,
10 “યહૂદિયાના રાજા હિઝકિયાને તમે એવું કહેજો કે, તારો દેવ જેના પર તું ભરોસો રાખે છે તે તને એવું કહીને ફસાવે કે યરુશાલેમ આશુરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.
11 જો આશૂરના રાજાઓએ સર્વ દેશોનો સમૂળગો નાશ કરીને તેમના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; અને શું તારો બચાવ થશે?
12 જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રસેફ, તથા તાલાસ્સારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?
13 હમાથનો રાજા, આર્પાદનો રાજા, સર્વાઈમ નગરનો રાજા, હેનાનો તથા ઈવ્વાનો રાજા ક્યાં છે?”
14 હિઝકિયાએ સંદેશિયાઓના હાથમાંથી પત્ર લઈને તે વાંચ્યો; અને હિઝકિયાએ યહોવાના મંદિરમાં ચઢી જઈને યહોવા આગળ તે ખુલ્લો કર્યો.
15 અને હિઝકિયાએ યહોવા આગળ પ્રાર્થના કરી, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, કરૂબો પર બિરાજમાન, પૃથ્વીના સર્વ રાજ્યોના તમે, એકલા તમે ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.
16 હે યહોવા, આંખ ઉઘાડો ને જુઓ; અને સાન્હેરીબનાં વચનો જે વડે જીવતા ઈશ્વરની નિંદા કરવા તેણે એને મોકલ્યો છે તે તમે સાંભળો.
17 હે યહોવા, ખરેખર, આશૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે,
18 અને તેમના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તે ઈશ્વર નહોતા, પણ માણસોના હાથોનું કામ એટલે લાકડું તથા પથ્થર હતા; તેથી તેઓએ તેમનો નાશ કર્યો છે.
19 તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાલા કરું છું કે, તમે અમને તેના હાથમાંથી બચાવો કે, પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે, તમે, હે યહોવા, એકલા તમે જ, ઈશ્વર છો.”
20 ત્યારે આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો કહાવ્યો, “ઇઝરાયલના ઈશ્વર યહોવા આમ કહે છે કે, ‘તેં આશૂરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મારી આગળ પ્રાર્થના કરી છે, તો મેં તારું સાંભળ્યું છે.’
21 તેના વિષે જે વચન યહોવા બોલ્યા છે તે છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, તિરસ્કારસહિત તારી હાંસી કરી છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ પોતાનું ડોકું ધુણાવ્યું છે.
22 તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? કોની વિરુદ્ધ તેં તારો સાદ ઉઠાવ્યો છે, ને તારી આંખો ઊંચી કરી છે?’ ઇઝરાયલના પવિત્રની વિરુદ્ધ જ.
23 તારા સંદેશિયાઓ દ્વારા તેં યહોવાની નિંદા કરી છે. તેં કહ્યું છે કે, ‘મારા રથના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનનાં સૌથી અંદરના ભાગોમાં ચઢી આવ્યો છું; તેનાં ઊંચાં એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાંખીશ; અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.
24 મેં ખોધીને પરદેશનાંપાણી પીધાં છે, અને મારા પગોના તળિયાથી હું મિસરની બધી નદીઓ સૂકવી નાખીશ.’
25 મેં કેવો પુરાતનકાળથી તેં ઠરાવ કર્યો છે, ને પ્રાચીનકાળથી તેં ઘાટ ઘડ્યો છે, શું તેં નથી સાંભળ્યું? હવે, કોટવાળા નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.
26 તે કારણથી તેમના રહેવાસીઓ અશક્ત થઈ ગયા, તેઓ ગભરાઈને બાવરા બની ગયા. તેઓ ખેતરના ઘાસ, લીલોતરી, ધાબા પરના ઘાસ તથા પુખ્ત થયાં પહેલાં ચીમળાયેલા કર્ષળના જેવા થઈ ગયા.
27 તારું નીચે બેસવું, તારું બહાર જવું, તારું અંદર આવવું તથા મારા પર તારું ક્રોધાયમાન થવું સર્વ હું જાણું છું.
28 મારા પર તારા ક્રોધાયમાન થવાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.’
29 અને તારે માટે ચિહ્‍ન થશે:’આ વર્ષે પોતાની મેળે નીપજેલું ધાન્ય તમે ખાશો, ને બીજે વર્ષે એમાંથી નીપજેલું ધાન્ય તમે ખાશો; અને ત્રીજે વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો.
30 યહૂદાના કૂળનો બચેલો ભાગ ફરીથી નીચે મૂળ નાખશે, ને ઉપર તેને ફળ આવશે.
31 કેમ કે યરુશાલેમમાંથી શેષ ને સિયોન પર્વતમાંથી બચી જનારાઓ નીકળશે.’ યહોવાની આસ્થાને લીધે એમ થશે.
32 તે માટે આશૂરના રાજા વિષે યહોવા આમ કહે છે કે, ‘તે નગર પાસે આવશે નહિ, ત્યાં બાણ પર મારશે નહિ, તે ઢાલ લઈને તેની આગળ આવશે નહિ, ને તેની સામે મોરચો બાંધશે નહિ.
33 જે માર્ગે તે આવ્યો હશે તે માર્ગે તે પાછો જશે, ને તે નગર પાસે આવશે નહિ, એમ યહોવા કહે છે.
34 ‘કેમ કે હું મારી પોતાની ખાતર, તથા મારા સેવક દાઉદની ખાતર નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’”
35 તે રાત્રે એમ થયું કે, યહોવામા દૂતે આવીને આશૂરીઓની છાવણીમાંના એક લાખ પંચાશી હજાર માણસોને મારી નાખ્યા. લોકો મોટી સવારે ઊઠ્યા ત્યારે, જુઓ, તે બધા મરણ પામ્યા હતા, ને તેમની લાશો ત્યાં પડી રહી હતી.
36 તેથી આશૂરનો રાજા સાન્હેરીબ પાછો નિનવે જતો રહ્યો.
37 તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે એમ થયું કે આદ્રમ્મેલેખે તથા શારએસેરે તેને તરવારથી મારી નાખ્યો; અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા, અને તેના દીકરા એસારહાદોને તેની જગાએ રાજ કર્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×