1 ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ?
2 ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મર્યા, તો પછી એમાં કેમ જીવીએ?
3 શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા?
4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.
5 કારણ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયા, તો તેમના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું.
6 વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહિ.
7 કેમ કે જે મર્યો છે તે ન્યાયી ઠરીને પાપથી મુકત થયો છે.
8 હવે જો આપણે ખ્રિસ્તની સાથે મર્યા, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા.
9 કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરી મરનાર નથી. હવે પછી મરણનો ફરીથી તેમના પર અધિકાર નથી.
10 કેમ કે તે મર્યા, એટલે પાપના સંબંધમાં તે એક જ વાર મર્યા; પણ તે જીવે છે એટલે ઈશ્વરના સંબંધમાં તે જીવે છે.
11 તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મરેલાં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરના સંબંધમાં જીવતા, ગણો.
12 તમે પાપની દુર્વાસનાઓને આઘીન ન થાઓ, એ માટે તમે પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો.
13 વળી તમારા અવયવોને અન્યાયનાં હથિયાર થવા માટે પાપને ન સોંપો. પણ મૂએલાંમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયીપણાનાં હથિયાર થવા માટે ઈશ્વરને સોંપો.
14 કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહિ; કેમ કે તમે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છો.
15 તો શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તે માટે શું આપણે પાપ કરીએ? ના, એવું ન થાઓ.
16 શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?
17 પણ ઈશ્વરને ધન્ય હો કે, તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંત:કરણથી સ્વીકાર્યો.
18 એ પ્રમાણે પાપથી મુક્ત થઈને, તમે ન્યાયીપણાના દાસ થયા.
19 તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.
20 કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા.
21 તો જે કામોથી તમે હમણાં શરમાઓ છો, તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામો નું પરિણામ મરણ છે.
22 પણ હમણાં પાપથી મુક્ત થયેલા, અને ઈશ્વરના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો, અને પરિણામે તમને અનંતજીવન મળે છે.
23 કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.