1 કોઈ તમને ઠોકર ખવડાવે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
2 તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
3 તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.
4 પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. પહેલાંથી એ વચનો મેં તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.
5 પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું. અને તું ક્યાં જાય છે એમ તમારામાંનો કોઈ મને પૂછતો નથી.
6 પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.
7 તોપણ હું તમને સત્ય કહું છું. મારું જવું તમને લાભકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ.
8 જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિષે, ન્યાયપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે, જગતને ખાતરી કરી આપશે.
9 પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;
10 ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જઉં છું; અને તમે હવેથી મને જોશો નહિ;
11 ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે.
12 હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી.
13 તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે.
14 તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે.
15 જે પિતાનાં છે, તે સર્વ મારાં છે. અને તેટલા માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે.
16 થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો.”
17 એથી તેના શિષ્યોમાંના કેટલાકે અંદરોઅંદર કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું; એવું તે આપણને કહે છે તે શું હશે?”
18 તેથી તેઓએ કહ્યું, “થોડી વાર પછી, એમ તે કહે છે તે શું છે? તે શું કહે છે એ આપણે સમજતા નથી.”
19 તેઓ મને પૂછવા ચાહે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર પૂછો છો?
20 હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે.
21 જ્યારે સ્ત્રી પ્રસવવેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી, જગતમાં એક માણસ જનમ્યું છે તેના આનંદથી તે દુ:ખ તેને ફરીથી યાદ આવતું નથી.
22 તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.
23 તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે પિતા પાસે કંઈ માંગશો તો તે તમને મારે નામે તે આપશે.
24 હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.
25 એ વચનો મેં તમને દ્દષ્ટાંતોમાં કહ્યાં છે. એવો સમય આવે છે કે જયારે દ્દષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહિ, પણ હું તમને પિતા સંબંધી સ્પષ્ટ રીતે કહી બતાવીશ.
26 તે દિવસે મારે નામે તમે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ.
27 કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, એવો વિશ્વાસ પણ તમે કર્યો છે.
28 હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું. વળી હું જગતને છોડીને પિતાની પાસે જાઉં છું.”
29 તેમના શિષ્યો કહે છે કે, “જુઓ, તમે હવે સ્પષ્ટ રીતે બોલો છો, અને કંઈ દ્દષ્ટાંત કહેતા નથી.
30 હવે અમે જાણીએ છીએ કે, તમે બધી વાતો જાણો છો, ને કોઈ માણસ તમને પૂછે એવી તમને અગત્ય નથી. એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ‘ઈશ્વર’ પાસેથી આવ્યા છો.”
31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે શું હવે વિશ્વાસ કરો છો?
32 જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
33 મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”