1 તે સમયે મહાન સરદાર મિખાયેલ, જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે, તે ખડો થશે; અને એવા સંકટનો સમય આવશે કે પહેલવહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. એ સમયે તારા લોકોમાંના જેઓ નાં નામ પુસ્તકમાં નોંધાયેલાં માલૂમ પડશે તે દરેકનો બચાવ થશે.
2 અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.
3 સુજ્ઞો અંતરિક્ષના પ્રકાશની માફક, અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદાસર્વકાળ તારાઓની માફક પ્રકાશશે.
4 પણ, હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.”
5 ત્યાર પછી હું દાનિયેલ જોતો હતો, તો જો, બીજા બે ઊભા હતા, એટલે એક નદીને આ કિનારે અને બીજો નદીને પેલે કિનારે.
6 જે માણસ શણનાં વસ્ત્રો પહેરીને નદીનાં પાણી ઉપર ઊભો હતો, તેને કોઈએ પૂછ્યું, “આ આશ્ચર્યોનો અંત આવતાં કેટલો વખત લાગશે?”
7 ત્યારે જે પુરુષ શણનાં વસ્ત્ર પહેરીને નદીનાં પાણી ઉપર ઊભો હતો તેણે પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને સદા જીવનારના સમ ખાધા કે, “કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે; અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.”
8 મેં તે સાંભળ્યું, પણ હું સમજ્યો નહિ. ત્યારે મેં સાંભળ્યું, પણ હું સમજ્યો નહિ. ત્યારે મેં પૂછ્યું, “હે મારા મુરબ્બી, આ બાબતોનું પરિણામ શું આવશે?”
9 તેણે કહ્યું, “હે દાનિયેલ, તું તારે રસ્તે ચાલ્યો જા; કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે.
10 ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ને તેમને નિર્મળ કરવામાં આવશે; પણ દુષ્ટો પાપ કર્યા કરશે; અને કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જ્ઞાની જનો સમજશે.
11 નિત્યનું દહનીયાર્પણ બંધ કરવામાં આવશે, ને તેની જગાએ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં રાખવામાં આવશે તે વખતથી એક હજાર બસો નેવું દિવસ થશે.
12 જે વાટ જુએ છે, ને એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ સુધી નભી રહેશે, તેને ધન્ય છે.
13 પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા; કેમ કે તું વિશ્રામ પામશે, ને તે મુદતને અંતે તું તારા હિસ્સા ના વતન માં ઊભો રહેશે.”