1 ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો. અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પ્રલોભનમાં પડે.
2 તમે એકબીજાના ભાર ઊંચકો, અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો.
3 કેમ કે જયારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં, હું કંઈ છું, એમ ધારે છે, ત્યારે તે પોતાને ભુલાવે છે.
4 પણ દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ માત્ર પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
5 કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.
6 સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્સો આપવો.
7 ભૂલો નહિ; ઈશ્વરની મશ્કરી કરાય નહિ:કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.
8 કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે. પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.
9 તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
10 માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુંટુંબના જે છે તેઓનું સારું કરીએ.
11 જુઓ, હું મારે પોતાને હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.
12 દેહ વિષે જેટલા સારા દેખાવા ચાહે છે, તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરાવવાની ફરજ પાડે છે.
13 કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમ પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત કરાવવાને ચાહે છે.
14 પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું.
15 કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી. પણ નવી ઉત્પત્તિ એ જ કામની છે.
16 જેટલા આ નિયમ પ્રમાણે ચાલનારા છે, તેટલા પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા કૃપા હો.
17 હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુનાં ચિહ્નોની છાપ મારેલી છે.
18 ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો.આમીન.???????? 1