1 તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.
2 આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુ:ખ સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.
3 તો જેમણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેમનો વિચાર કરો, રખેને તમે તમારાં મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ.
4 તમે પાપની સામા બાથ ભીડો છો, પણ રક્તપાત સુધી તમે હજી બાથ ભીડી નથી.
5 વળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે, તે તમે ભૂલી ગયા; એટલે, “મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નિરાશ ન થા.
6 કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો સ્વીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.”
7 શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે. કેમ કે એવો ક્યો દીકરો છે કે, જેને પિતા શિક્ષા કરતો નથી?
8 પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે, એવી શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ.
9 વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?
10 કેમ કે તેઓએ તો થોડાક દિવસ સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ એમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે, આપણે તેમની પવિત્રતાના ભાગીદાર થઈએ,
11 કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે. પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.
12 એ માટે ઢીલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો.
13 અને પોતાના પગોને માટે સીધા રસ્તા કરો, જેથી જે લંગડું છે, તે ઊતરી ન જાય, પણ ઊલટું તે સાજું થાય.
14 સર્વની સાથે શાંતિથી વર્તો, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહિ તેને ધોરણે તમે ચાલો.
15 તમે બહુ સાવધ રહો, રખેને કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી જાય; રખેને કોઈ કડવાશરૂપી જડ ઊગે, અને તેમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણાખરા અપવિત્ર થાય;
16 રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જયેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય.
17 કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઇચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તોપણ તેનો સ્વીકાર થયો નહિ, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહિ.
18 વળી તેમ એવાંઓની પાસે આવ્યા નથી, એટલે અડકાય એવા પહાડની તથા બળતી આગની તથા ઘનઘોર આકાશની તથા અંધકારની તથા તોફાનની
19 તથા રણશિંગડાના અવાજની તથા એવા શબ્દધ્વનિની કે, જેના સાંભળનારાઓએ વિનંતી કરી કે, “એવું ફરીથી અમને કહેવામાં ન આવે;”
20 કેમ કે જો કોઈ જાનવર પણ પહાડને અડકે, તો તે પથ્થરથી માર્યું જાય, એવી જે આજ્ઞા થઈ, તે તેઓથી સહન થઈ શકી નહિ,
21 અને એ દેખાવ એવો ભયંકર હતો કે તેથી મૂસાએ કહ્યું, “હું બહુ બીહું છું અને ધ્રજું છું.”
22 પણ તમે તો સિયોન પહાડની પાસે, અને જીવતા ઈશ્વરના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે, અને હજારોહજાર દૂતોની પાસે,
23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે, અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે,
24 અને નવા કરારનાં મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો.
25 જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહિ.
26 તેમની વાણીએ તે વખતે પૃથ્વીને કંપાવી; પણ “હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ કંપાવું છું” એવી તેમણે પ્રતિજ્ઞા કરી છે.
27 ‘ફરી એક વાર’નો અર્થ એ છે કે, કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની જેમ નાશ પામે છે કે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી, તેઓ કાયમ રહે.
28 માટે કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ;
29 કેમ કે આપણા ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.