Bible Versions
Bible Books

Isaiah 2 (GUV) Gujarati Old BSI Version

1 આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે.
2 છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.
3 ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.
4 તે વિદેશીઓમાં ઇનસાફ કરશે, તે ઘણા લોકોનો ચૂકાદો કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે. પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.
5 હે યાકૂબના વંશજો, ચાલો, આપને યહોવાના પ્રકાશમાં ચાલીએ!
6 હે પ્રભુ, તમે તમારા લોકોને, એટલે યાકૂબનાં સંતાનોને તજી દીધાં છે; કારણ કે તેઓ પૂર્વ તરફના દેશો ના રીતરિવાજોમાં મશગૂલ, અને પલિસ્તીઓની જેમ ધંતરમંતર કરનારા થયા છે, તેઓ પારકાનાં સંતાન સાથે મિત્રાચારી રાખે છે.
7 વળી તેમનો દેશ સોનારૂપાથી ભરપૂર થયો છે, તેઓના ખજાનાનો પાર નથી; તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે, અને તેમના રથનો પાર નથી.
8 વળી તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર થયો છે; પોતાના હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને તેઓ પગે લાગે છે.
9 દરિદ્રી પ્રણામ કરે છે, અને ધનવાન પણ નમે છે. એથી તમે તેઓને માફ કરશો નહિ.
10 યહોવાના ભયથી, અને તેમના માહાત્મ્યના પ્રતાપથી ખડકમાં પેસી જ, ને ધૂળમાં સંતાઈ રહે.
11 માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
12 કેમ કે જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે, ને જે ઉન્મત્ત છે, તે સર્વ પર સૈન્યોના ઈશ્વર યહોવાએ નકકી કરેલો દિવસ આવનાર છે; અને તે સર્વ નમાવવામાં આવશે.
13 લબાનોનનાં સર્વ મોટાં ને ઊંચાં થએલાં એરેજવૃક્ષો પર, બાશાનનાં સર્વ એલોન ઝાડ પર;
14 સર્વ મોટા પર્વતો પર, સર્વ ઊંચા ટેકરાઓ પર;
15 દરેક ઊંચા કિલ્લા પર, દરેક મોરચાબંધ કોટ પર;
16 તાર્શીશનાં સર્વ વહાણો પર, અને સર્વ મનોરંજક દેખાવો પર તે દિવસ આવનાર છે.
17 તે સમયે માણસોનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે. અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
18 મૂર્તિઓ છેક નાબૂદ થઈ જશે.
19 યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેમના ભયથી, તથા તેમના મહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં સંતાઈ જશે.
20 તે દિવસે માણસ પોતાને માટે ભજવાને માટે કરેલી સોનારૂપાની મૂર્તિ ચેણ તથા ચામાચેણની પાસે ફેંકી દેશે.
21 જ્યારે યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેમના ભયથી, તથા તેમના માહાત્મ્યના પ્રતાપથી, ખડકોનાં પોલાણમાં ને શિખરોની ફાટોમાં પેસી જશે.
22 તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં છે; તે શી ગણતરીમાં છે?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×