Bible Versions
Bible Books

John 4 (GUV) Gujarati Old BSI Version

1 હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
2 (ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા), પ્રભુએ જાણ્યું,
3 ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
4 સમરૂનમાં થઈને તેમને જવું પડયું.
5 માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સૂખાર નામે એક શહેર આગળ તે આવે છે.
6 ત્યાં યાકૂબનો કૂવો હતો. માટે ઈસુ ચાલવાથી થાકેલા હોવાથી કૂવા પર એવા ને એવા બેઠા. તે સમયે આશરે બપોર થયા હતા.
7 એક સમરૂની સ્‍ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે, “મને પાણી પા.”
8 (તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.)
9 ત્યારે તે સમરૂની સ્‍ત્રી તેમને કહે છે, “હું સમરૂની સ્‍ત્રી છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?” (કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.)
10 ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી પા, તે કોણ છે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે માગત, અને તે તને જીવતું પાણી આપત.”
11 સ્‍ત્રી તેમને કહે છે, “પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી ને કૂવો ઊંડો છે! તો તે જીવતું પાણી તમારી પાસે કયાંથી હોય?
12 અમારા પૂર્વજ યાકૂબે અમને કૂવો આપ્યો, અને પોતે, તેમનાં છોકરાંએ તથા ઢોરોએ એમાંનું પીધું, તેમના કરતાં શું તમે મોટા છો?”
13 ઈસુએ તેને કહ્યું, “જે કોઈ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;
14 પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે.”
15 સ્‍ત્રી તેમને કહે છે, “પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું પડે.”
16 ઈસુ તેને કહે છે, “જા, તારા પતિને અહીં તેડી લાવ.”
17 સ્‍ત્રીએ તેમને કહ્યું, “મારે પતિ નથી.”
18 ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘મારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી, તેં ખરું કહ્યું.”
19 સ્‍ત્રી તેમને કહે છે, “પ્રભુ તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.
20 અમારા પિતૃઓ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.”
21 ઈસુ તેને કહે છે, “બાઈ, મારું માન; એવો સમય આવે છે કે જયારે તમે પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન નહિ કરશો.
22 જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ! કેમ કે તારણ યહૂદીઓમાંથી છે.
23 પણ એવો સમય આવે છે, અને હાલ આવ્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.
24 ઈશ્વર આત્મા છે; અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્‍માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.”
25 સ્‍ત્રી તેમને કહે છે, “મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.”
26 ઈસુ તેને કહે છે, “તારી સાથે જે બોલે છે તે હું તે છું.”
27 એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને સ્‍ત્રીની સાથે તે વાત કરતા હતા માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તોપણ તમે શું ચાહો છો, અથવા તેની સાથે તમે શા માટે વાત કરો છો, એમ કોઈએ પૂછયું નહિ.
28 ત્યારે તે સ્‍ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ, અને લોકોને કહે છે,
29 “આવો, જેટલું મેં કર્યું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે ખ્રિસ્ત છે કે શું?”
30 તેઓ શહેરમાંથી નીકળીને તેમની પાસે આવવા લાગ્યા.
31 તેટલામાં શિષ્યોએ તેમને વિનંતી કરી, “રાબ્બી, જમો.”
32 પણ તેમણે તેઓને કહ્યું, “મારી પાસે ખાવાનું અન્‍ન છે કે જે વિષે તમને ખબર નથી.”
33 માટે શિષ્યોએ અંદરોઅંદર કહ્યું, “એમને માટે શું કોઈ કંઈ ખાવાનું લાવ્યો હશે?”
34 ઈસુ તેઓને કહે છે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું મારું અન્‍ન છે.
35 તમે શું નથી કહેતા કે ચાર મહિના પછી ફસલ આવશે? જુઓ, હું તમને કહું છું કે, તમારી નજર ઊંચી કરીને ખેતરો જુઓ કે, તેઓ કાપણીને માટે પાકી ચૂકયાં છે.
36 જે કાપે છે તે પગાર પામે છે, અને અનંતજીવનદાયક ફળનો સંગ્રહ કરે છે; તેથી વાવનાર અને કાપનાર બન્‍ને સાથે હર્ષ પામે.
37 કેમ કે આમાં કહેવત ખરી પડે છે કે, ‘એક વાવે અને બીજો કાપે છે.’
38 જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે, અને તેઓની મહેનતમાં તમે પ્રવેશ્યા છો.”
39 જે સ્‍ત્રીએ સાક્ષી આપી કે, “જેટલું મેં કર્યું તે બધું તેમણે મને કહી બતાવ્યું, તેની વાતથી તે શહેરના ઘણા સમરૂનીઓએ તેમના પર વિશ્વાસ કર્યો.
40 માટે સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, “તમે અમારી સાથે રહો”; અને બે દિવસ સુધી તે‍ ત્યાં રહ્યા.
41 તેમની વાતથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો;
42 તેઓએ તે સ્‍ત્રીને કહ્યું, “હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તે નિશ્ચે છે.”
43 બે દિવસ પછી તે‍ ત્યાંથી નીકળીને ગાલીલમાં ગયા.
44 કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, “પ્રબોધકને પોતાના દેશમાં કંઈ માન નથી.”
45 હવે તે ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો અંગીકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વને સમયે કર્યાં હતાં, તે બધાં તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
46 ગાલીલમાંનું કાના, જયાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં તે ફરી આવ્યા. ત્યાં એક અમીર હતો, તેનો દીકરો કપર-નાહૂમમાં માંદો હતો.
47 તેણે સાંભળ્યું કે, ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, “આવીને મારા દીકરાને સાજો કરો.” કેમ કે તે મરવાની અણી પર હતો.
48 ત્યારે ઈસુએ તેને કહ્યું, “ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્ચાસ કરવાના નથી.”
49 અમીર તેમને કહે છે, “પ્રભુ, મારા દીકરાના મરવા અગાઉ આવો.”
50 ઈસુ તેને કહે છે, “ચાલ્યો જા; તારો દીકરો જીવતો રહ્યો છે.” જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો.
51 તે ચાલ્યો જતો હતો, એટલામાં તેના ચાકરો તેને સામા મળ્યા, તેઓએ તેને કહ્યું, “તમારો દીકરો જીવી ગયો છે.”
52 તેણે તેઓને પૂછયું, “કઈ ઘડીએ તે સાજો થવા લાગ્યો?” ત્યારે તેઓએ તેને કહ્યું, કાલે બપોર પછી એક વાગે તેનો તાવ જતો રહ્યો.”
53 એથી પિતાએ જાણ્યું કે, જે ઘડીએ ઈસુએ મને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે ઘડીએ થયું;” અને તેણે પોતે તથા તેના ઘરનાં બધાંએ વિશ્વાસ કર્યો.
54 ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને બીજો ચમત્કાર કર્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×