1 અને યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, કોઈ સ્ત્રીને ગર્ભ રહીને પુત્ર જન્મે, તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય;
3 અને આઠમે દિવસે તે પુત્ર ની સુન્નત કરવી.
4 અને તે સ્ત્રીનું શુદ્ધિકરણ થતાં સુધી તેત્રીસ દિવસ સુધી તે સુવાવડી ગણાય. તેના શુદ્ધ થવાના દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ શુદ્ધ વસ્તુનો સ્પર્શ ન કરે, તેમ જ પવિત્રસ્થાનમાં પણ ન આવે.
5 પણ જો તેને પુત્રી થાય તો બે અઠવાડિયાં સુધી, ઋતુને સમયે થાય છે તેમ, તે અશુદ્ધ ગણાય. અને તેનું શુદ્ધિકરણ થતાં સુધી છાસઠ દિવસ સુધી તે સુવાવડી ગણાય.
6 અને જ્યારે પુત્રને લીધે કે પુત્રીને લીધે તેના શુદ્ધ થવાના દિવસ પૂરા થાય, ત્યારે તે દહનીયાર્પણને માટે પહેલા વર્ષનું એક હલવાન, તથા પાપાર્થાર્પણને માટે કબૂતરનું બચ્ચું અથવા એક હોલો મુલાકાતમંડપના બારણા આગળ યાજકની પાસે લાવે.
7 અને યહોવાની આગળ તે તેને ચઢાવે, ને તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તે તેના રક્તસ્ત્રાવમાંથી શુદ્ધ થશે. જેને પુત્રનો કે પુત્રીનો જન્મ થાય, તેને માટે એ નિયમ છે.
8 અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવે. એક દહનીયાર્પણને માટે, ને બીજું પાપાર્થાર્પણને માટે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તે શુદ્ધ થશે.