1 અને તે ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
2 અને વિશ્રામવારે તે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકે.
3 અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે, “વચમાં ઊભો થા.”
4 અને તે તેઓને કહે છે, “વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેને મારી નાખવો, ક્યું ઉચિત છે?” પણ તેઓ છાના રહ્યા.
5 અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો.
6 અને શી રીતે તેનો નાશ કરવો તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ ઠરાવ કર્યો.
7 અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની પાસે ગયા; અને ગાલીલમાંથી ઘણા લોકો તેમની પાછળ ગયા. તેમ જ યહૂદિયામાંથી
8 તથા યરુશાલેમમાંથી તથા અદુમમાંથી તથા યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેમણે જે જે કાર્યો કર્યાં તે સાંભળીને તેમની પાસે આવ્યા.
9 અને લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણથી પોતાને માટે હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું,
10 કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતા, અને તેથી જેટલાં માંદાં હતાં તેટલાં તેમને અડકવા માટે તેમના પર તૂટી પડતાં હતાં.
11 અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડીને પોકારી ઊઠ્યા, “તમે ઈશ્વરના પુત્ર છો.”
12 અને તેમણે તેઓને બહુ ચેતવણી આપી, “મને પ્રગટ ન કરો.”
13 અને તે પહાડ પર ચઢ્યા, ને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
14 અને તેમણે બારને નીમ્યા. એ માટે કે તેઓ તેમની સાથે રહે, અને તે તેમને ઉપદેશ આપવા મોકલે,
15 અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓ કાઢે.
16 અને સિમોનની અટક તેમણે પિતર પાડી;
17 તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન, તેઓની અટક તેમણે ‘બને-રગેસ’ પાડી, એટલે ‘ગર્જનાના દીકરા’;
18 અને આન્દ્રિયા તથા ફિલિપ તથા બર્થોલ્મી તથા માથ. અને થોમા તથા અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદ્દી તથા સિમોન કનાની,
19 તથા તેમને પરસ્વાધીન કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. અને તે એક ઘરમાં આવે છે.
20 અને ફરી એટલા બધા લોકો એકત્ર થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
21 અને તેમનાં સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું, “તે ઘેલો છે.”
22 અને જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું, “તેનામાં બાલઝબૂલ છે, ને દુષ્ટાત્માઓના સરદારની મદદ થી તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
23 અને તેમણે તેઓને પાસે બોલાવીને દ્દષ્ટાંતોમાં તેઓને કહ્યું, “શેતાન શેતાનને કેમ કાઢી શકે?
24 અને જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શક્તું નથી.
25 અને જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
26 અને જો શેતાન પોતાની સામે થયો હોય, ને પોતામાં ફૂટ પડી હોય, તો તે નભી શક્તો નથી; પણ તેનો અંત આવ્યો જાણવો.
27 બળવાનના ઘરમાં પેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલાં ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શક્તો નથી! પણ તેને બાંધ્યા પછી તે તેનું લૂંટી લેશે.
28 હું તમને ખરેખર કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તે સર્વની તેમને માફી મળશે.
29 પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે, તેને માફી કદી મળશે નહિ! પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે!
30 કેમ કે તેઓ કહેતા હતા, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.”
31 અને તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં. અને બહાર ઊભાં રહીને તેમને બોલાવવા તેઓએ તેમની પાસે માણસ મોકલ્યું.
32 અને ઘણા લોકો તેમની આસપાસ બેઠેલા હતા, તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમારાં મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે ને તમને શોધે છે.”
33 અને તેમણે તેઓને ઉત્તર આપ્યો, “મારાં મા તથા મારા ભાઈઓ કોણ છે?”
34 અને જેઓ તેમની આસપાસ બેઠેલા હતા, તેઓની સામે ચારે તરફ જોઈને તે કહે છે, “જુઓ મારાં મા તથા મારા ભાઈઓ!
35 કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.”