1 અને આખી પ્રજાએ મોટો ઘાંટો પાડીને પોક મૂકી. અને તે રાત્ર લોક રડ્યા.
2 અને સર્વ ઇઝરાયલી લોકોએ મૂસાની વિરુદ્ધ તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી. અને સર્વ લોકોએ તેઓને કહ્યું, “અમે મિસર દેશમાં મરી ગયા હોત તો સારું! અથવા આ અરણ્યમાં મરી ગયા હોત તો સારું!
3 અને તરવારથી મરી જઈએ માટે યહોવા અમને આ દેશમાં કેમ લાવ્યા છે? અને અમારી સ્ત્રીઓ અને બાળકો લૂટરૂપ થશે. મિસરમાં પાછું જવું એ શું અમારે માટે વધારે સારું ન હોય?”
4 અને તેઓએ એકબીજાને કહ્યું, “આપણે આગેવાન ઠરાવીને મિસરમાં પાછા જઈએ.”
5 ત્યારે ઇઝરાયલની સમગ્ર પ્રજાની આખી સભાની આગળ મૂસા તથા હારુન ઊંધા પડયા.
6 અને નૂનનો દિકરો યહોશુઆ તથા યફૂનેનો દિકરો કાલેબ, જેઓ દેશની જાસૂસી કરનારાઓમાં ના હતા, તેઓએ પોતાનાં વસ્ત્ર ફાડયાં.
7 અને તેઓએ ઇઝરાયલની સમગ્ર પ્રજાને કહ્યું, “જે દેશની જાસૂસી કરવાને અમે જઈ આવ્યા તે અત્યુત્તમ દેશ છે.
8 જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે, તો તે આપણને તે દેશમાં લાવશે, ને તે આપણને આપશે. તે તો દૂધમધની રેલછેલવાળો દેશ છે.
9 ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ડરી જશો નહિ; કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહિ.”
10 પણ આખી પ્રજાએ કહ્યું, “તેઓને પથ્થરે મારો.” અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલી લોકોને યહોવાનું ગૌરવ દેખાયું.
11 અને યહોવાએ મૂસાને કહ્યું, “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યાં છે તે છતાં, તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?
12 હું તેઓને મરકીથી મારીશ, ને તેઓને બિનવતન કરી નાખીશ, ને તેઓના કરતાં મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્ન કરીશ.”
13 અને મૂસાએ યહોવાને કહ્યું, “ત્યારે તો મિસરીઓ તે વાત સાંભળશે; કેમ કે તમે તમારા પરાક્રમ વડે તેઓ મધ્યેથી આ લોકને કાઢી લાવ્યા.
14 અને તેઓ આ દેશના રહેવાસીઓને તે કહેશે. તેઓએ સાંભળ્યું છે કે તમે યહોવા આ લોક મધ્યે છો; કેમ કે તમે યહોવા તેઓને મોઢામોઢ દેખાવ છો, ને તમારો મેઘ તેઓના ઉપર થોભે છે, ને દિવસે મેઘસ્તંભમાં તથા રાત્રે અગ્નિસ્તંભમાં તેઓની આગળ તમે ચાલો છો.
15 હવે જો તમે આ લોકોને એક માણસની પેઠે મારી નાખશો, તો જે દેશજાતિઓએ તમારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે,
16 ‘યહોવાએ જે દેશ આપવાના આ લોક પ્રત્યે સમ ખાધા તેમાં આપવાના આ લોક પ્રત્યે સમ ખાધા તેમાં તે તેઓને લાવી ન શક્યા, માટે તેમણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા.’
17 અને હવે હું તમારી વિનંતી કરું છું કે યહોવાનું સામર્થ્ય મોટું થાઓ, જેમ તમે બોલીને કહ્યું છે કે,
18 યહોવા મંદરોષી તથા પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્લંઘનની ક્ષમા કરનાર, તથા દોષિતને નિર્દોષ કોઈ પણ પ્રકારે નહિ ઠરાવનાર; પિતાના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં છોકરાં પાસેથી લેનાર છે.
19 હું તમારી વિનંતી કરું છું, કે તમારી દયાના માહાત્મ્ય પ્રમાણે, ને જેમ તમે મિસરથી માંડીને અત્યાર સુધી આ લોકને માફી બક્ષી છે, તે પ્રમાણે તેઓને ક્ષમા કરો.”
20 અને યહોવાએ કહ્યું, “તારા કહેવા પ્રમાણે મેં તેઓને ક્ષમા કરી છે.
21 પણ હું જીવતો છું, અને આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરપૂર થશે તે જેટલું નકકી છે તેટલા જ નકકીપણાથી.
22 જે બધા માણસોએ મારું ગૌરવ ને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતા દશ વખત મારી પરીક્ષા કરી છે, ને મારી વાણી સાંભળી નથી,
23 તેઓ જે દેશ આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે તે નહિ જ જોશે, તેમ જ જેઓએ મને તુચ્છ કર્યો તેઓમાંનો કોઈ તે જોશે નહિ.
24 પણ મારો સેવક કાલેબ, તેને જુદો આત્મા હતો, ને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે, તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ. અને તેનાં સંતાન તેનું વતન પામશે.
25 અમાલેકીઓ તથા કનાનીઓ તો મેદાનમાં રહે છે. કાલે તમે પાછા ફરો, ને સૂફ સમુદ્રને માર્ગે અરણ્યમાં જાઓ.”
26 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,
27 “આ દુષ્ટ પ્રજા જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેનું ક્યાં સુધી હું સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે.
28 તેઓને કહે કે, યહોવા કહે છે, હું જીવતો છું, તો જેમ તમે મારા કાનોમાં બોલ્યા છો તેમ હું તમને નકકી કરીશ.
29 આ અરણ્યમાં તમારી લાસો પડશે. અને તમારામાંના જેઓની ગણતરી થઈ હતી તે બધા, એટલે વીસ વર્ષની ઉમરના તથા તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાંનો કોઈ,
30 જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, તેમાં જવા નહિ જ પામશે. કેવળ યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ જવા પામશે.
31 પણ તમારાં છોકરાં જેઓના વિષે તમે કહ્યું, કે તેઓ લૂટરૂપ થઈ જશે, તેઓને હું અંદર લાવીશ, ને જે દેશને તમે તુચ્છ કર્યો છે તેના તેઓ અનુભવ કરશે.
32 પણ તમારી લાસો તો આ અરણ્યમાં પડશે.
33 અને તમારાં છોકરાં ચાળીસ વર્ષ અરણ્યમાં ભટકતાં ફરશે, ને તમારા વ્યભિચારનું ફળ ખાશે, જ્યાં સુધી કે અરણ્યમાં તમારી લાસો ગળી જાય.
34 જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે ચાળીસ દિવસ, તેઓની સંખ્યા પ્રમાણે, અકેક દિવસને બદલે અકેક વર્ષ લેખે, ચાળીસ વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો, ને મારા વિયોગનો અનુભવ કરશો.
35 મેં યહોવાએ કહ્યું છે કે, નિશ્ચય આ દુષ્ટ પ્રજા જે મારી સામે એકત્ર થઈ છે તેઓના ઉપર હું તે વિતાડીશ. આ અરણ્યમાં તેઓનો ક્ષય થશે, ને ત્યાં તેઓ મરશે.”
36 અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા, જેઓ પાછા આવ્યા, ને દેશ વિષે માઠો સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી.
37 એટલે જે માણસો દેશ વિષે માઢો સંદેશો લાવ્યા, તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા.
38 પણ જેઓ દેશની જાસૂસી કરવાને માટે ગયા હતા તેઓમાંથી નૂનનો દિકરો યહોશુઆ તથા યફૂનેનો દિકરો કાલેબ જીવતા રહ્યા.
39 અને મૂસાએ સર્વ ઇઝરાયલીઓને એ વાતો કહી અને લોકોએ બહુ શોક કર્યો.
40 અને તેઓ વહેલી સવારે ઊઠ્યા, ને પર્વતના શિખર પર જઈને કહ્યું, “જુઓ આપણે અહીં આવ્યા છીએ, ને જે જગાનું યહોવાએ વચન આપ્યું છે ત્યાં આપણે જઈએ; કેમ કે આપણે પાપ કર્યું છે.”
41 અને મૂસાએ કહ્યું, “તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? એ તેઓ સફળ થશે નહિ.
42 યહોવા તમારી મધ્યે નથી, માટે આગળ ન જાઓ. રખેને તમારા શત્રુઓ તમને મારે.
43 કેમ કે અમાલેકીઓ તથા કનાનીઓ ત્યાં તમારી આગળ છે, ને તમે તરવારથી પડશો. તમે યહોવાને અનુસરવાથી પાછા ફરી ગયા છો, એ માટે યહોવા તમારી સાથે નહિ આવે.”
44 પણ તેઓ અભિમાન કરીને પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાનો કરારકોશ તથા મૂસા છાવણીમાંથી બહાર ન ગયા.
45 અને અમાલેકીઓ તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઊતરી આવ્યા, ને તેઓને માર્યા ને હોર્મા સુધી તેઓને નસાડયા.