1 ઈશ્વરના વહાલાં, તથા પવિત્ર થવા માટે તેડાયેલાં જેઓ રોમમાં રહે છે, તે સર્વને લખનાર ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. તેને પ્રેરિત થવા માટે બોલાવવામાં આવ્યો છે, તથા ઈશ્વરની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે,
2 એ સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોદ્વારા પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું.
3 તે સુવાર્તા તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની છે, એ મનુષ્યદેહે તો દાઉદના વંશજ હતા,
4 પણ પવિત્ર આત્માને પ્રતાપે મૂએલાંઓમાંથી પાછા ઊઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે.
5 સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, એ માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ.
6 તેઓમાંનાં તમે પણ ઈસુ ખ્રિસ્તનાં થવાને તેડાયેલાં છો.
7 આપણા પિતા ઈશ્વરથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
8 પ્રથમ તો, આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.
9 કેમ કે જે ઈશ્વરની સેવા હું મારા આત્માએ તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું,
10 અને સદા પ્રાર્થના કરીને માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે નિર્વિધ્ને મારાથી આવી શકાય.
11 કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કોઈ આત્મિક દાન પમાડું,
12 એટલે અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા વિશ્વાસથી, હું તમારી સાથે તમારામાં દિલાસો પામું.
13 જેમ બીજા વિદેશીઓમાં, તેમ તમારામાં પણ હું કંઈ ફળ મેળવું, એ માટે મેં ઘણી વાર તમારી પાસે આવવાનો ઠરાવ કર્યો, એ વિષે, હે ભાઈઓ, તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી. પરંતુ હજી સુધી મને અડચણ નડી છે.
14 ગ્રીક લોકોનો તેમ જ બર્બરોનો પણ, અને જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો પણ હું ઋણી છું.
15 માટે હું તમો રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને આતુર છું.
16 કેમ કે સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.
17 કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’
18 કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.
19 કારણ કે ઈશ્વર વિષેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે ઈશ્વરે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે.
20 કેમ કે તેમના અદશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી.
21 કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ, અને તેમનો આભાર માન્યો નહિ. પણ તેઓએ મિથ્યા તર્ક-વિતર્કો કર્યા, અને તેઓનાં નિર્બુદ્ધ મન અંધકારમય થયાં.
22 અમે જ્ઞાની છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ બન્યા.
23 તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગાં અને પેટે ચાલનારાં પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી.
24 માટે ઈશ્વરે તેઓને તેઓનાં અંત:કરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ અંદરોઅંદર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
25 કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું, અને ઉત્પન્નકર્તા (જે સર્વકાળ સ્તુત્ય હો, આમીન. તેમ)ની ભક્તિ ન કરતાં ઉત્પન્ન કરેલાંની ભક્તિ તથા ઉપાસના કરી.
26 તે કારણથી ઈશ્વરે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.
27 એમ જ પુરુષો પણ સ્ત્રીઓ સાથેના સ્વાભાવિક વ્યવહાર તજીને, પોતાની દુર્વાસનાઓથી પરસ્પર કામાતુર બન્યા, એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવ્યું.
28 ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા.
29 તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી, તથા અંટસથી ભરપૂર હતા. અને વળી ઈર્ષાથી, હત્યાથી, કલહથી, કપટથી તથા દ્વેષભાવથી ભરપૂર હતા. વળી ચુગલીખોર,
30 નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા પ્રપંચી, માતાપિતાની અવગણના કરનારા,
31 બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, તથા નિર્દયી હતા:
32 આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.