1 અબીમેલેખ પછી ઇઝરાયલને ઉગારવા માટે ઇસ્સાખારના કુળના દોદોના દીકરા પૂઆનો દીકરો તોલા ઊભો થયો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શામીરમાં રહેતો હતો.
2 તેણે ત્રેવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો, પછી તે મરણ પામ્યો, ને શામીરમાં દટાયો.
3 તે પછી ગિલ્યાદી યાઈર ઊભો થયો. તેણે બાવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
4 તેને ત્રીસ દીકરા હતા, તેઓ ગધેડાના ત્રીસ વછેરા પર સવારી કરતા હતા. તેમને ત્રીસ નગર હતાં, કે જે આજ સુધી હાવ્વોથ-યાઈર કહેવાય છે, અને તે ગિલ્યાદ દેશમાં છે.
5 યાઈર મરણ પામ્યો, ને કામોનમાં દટાયો.
6 ઇઝરાયલી લોકોએ ફરી યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને બાલીમ તથા આશ્તારોથની, અને અરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમ્મોનપુત્રોના દેવો તથા પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. અને તેઓએ યહોવાનો ત્યાગ કર્યો, ને તેમની ઉપાસના કરી નહિ.
7 આથી યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેણે તેઓને પલિસ્તીઓના હાથમાં તથા આમ્મોન-પુત્રોના હાથમાં વેચી દીધા.
8 તેઓએ તે વર્ષે ઇઝરાયલીઓને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો. યર્દનને પેલે પાર અમોરીઓનો જે દેશ ગિલ્યાદમાં છે, ત્યાંના સર્વ ઇઝરાયલીઓ પર અઢાર વર્ષ સુધી તેઓએ જુલમ કર્યો.
9 અને યહૂદા સાથે, બિન્યામીન સાથે તથા એફ્રાઈમના કુળની સાથે પણ લડવા માટે આમ્મોનપુત્રો યર્દન ઊતર્યા. તેથી ઇઝરાયલ બહુ દુ:ખી થયા.
10 અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કરીને કહ્યું, “અમે પોતાના ઈશ્વરને તજીને બાલીમની ઉપાસના કરીને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”
11 ત્યારે યહોવાએ ઇઝરાયલી લોકોને કહ્યું, “મિસરીઓથી, અમોરીઓથી, આમ્મોનપુત્રોથી તથા પલિસ્તીઓથી શું મેં તમને ઉગાર્યા નહોતા?
12 વળી સિદોનીઓએ, અમાલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો; અને તમે મને પોકાર કર્યો ત્યારે મેં તમને તેઓના હાથમાંથી ઉગાર્યા.
13 તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની ઉપાસના કરી છે; એથી હું તમને હવે પછી ઉગારીશ નહિ.
14 જે દેવોને તમે પસંદ કર્યા છે તેઓની પાસે જઈને પોકાર કરો. તેઓ ભલે તમારા દુ:ખની વેળાએ તમને બચાવે.”
15 ત્યારે ઇઝરાયલી લોકોએ યહોવાને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમને જે સારું લાગે તે તમે અમને કરો; પણ કૃપા કરીને આજે અમને છોડાવો.”
16 અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુ:ખને લીધે યહોવાનો આત્મા ખિન્ન થયો.
17 પછી આમ્મોનપુત્રોએ એકત્ર થઈને ગિલ્યાદમાં છાવણી કરી. અને ઇઝરાયલી લોકોએ એકત્ર થઈને મિસ્પામાં છાવણી કરી.
18 ગિલ્યાદના લોકો, એટલે સરદારો, એક બીજાને પૂછવા લાગ્યા, ક્યો માણસ છે? તે ગિલ્યાદમાં રહેનાર સર્વનો ઉપરી થશે.”